Saturday, October 24, 2015

આપણું ઘર એ જ આપણું મન્દીર


એક સ્નેહીના ઘરે જવાનું થયું. ઔપચારીક વાતો પછી મેં પુછ્યું, ‘બા ઘરમાં નથી દેખાતાં. બહાર ગયાં છે?’
બા સાથે મારે પણ આત્મીયતા હતી. સ્નેહી કહે, ‘બા ઘરમાં જ છે. પાસેની રુમમાં પુજા કરે છે.’
મને આશ્ચર્ય થયું ! એ કંઈ પુજા–પ્રાર્થના કરવાનો સમય નહોતો. હું જાણું છું કે પુજા–પ્રાર્થના તો કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે કરી શકાય; પરન્તુ સામાન્ય રીતે વ્યવહારમાં આપણે દરેક કામકાજ માટેનું સ્વતન્ત્ર ટાઈમટેબલ બનાવેલું હોય છે. પુજા–પ્રાર્થના માટે અનુકુળ સમય ફાળવેલો હોય છે. હું મારું આશ્ચર્ય વ્યક્ત કરું એ પહેલાં જ સ્નેહી બોલ્યા, ‘તમારે બાને પુજા કરતાં જોવાં છે ?’
‘ના–ના, તેમને ડીસ્ટર્બ નથી કરવાં…’
તેઓ ડીસ્ટર્બ નહીં થાય; ઉલટાનું તેમને ગમશે. સાચી વાત એ છે કે તમે બાને પુજા કરતાં જોશો તો તમને ગમશે. બાની પુજાવીધી જોવા જેવી છે.’
‘તો ચાલો, જઈએ અને જોઈએ.’ હું બોલ્યો.
અમે બન્ને ઉઠીને બાજુની રુમ તરફ ગયા. હળવેથી દરવાજો ખોલ્યો. એક પલંગ પર બા બેઠાં હતાં. સામે તેમનો પૌત્ર (એટલે કે પેલા સ્નેહીનો દીકરો) બેઠેલો હતો. બા તેને કંઈક વાર્તા સંભળાવતા હતાં. અમારી તરફ તેમનું ધ્યાન નહોતું. વાર્તાનાં પાત્રોમાં સીંહ, ગરીબ બ્રાહ્મણ અને રાજા હતાં.
સ્નેહી મને હાથ પકડીને રુમમાં ખેંચી ગયા. બાએ અમારી તરફ જોઈ સ્મીત કરતા કહ્યું, ‘બહુ દીવસે અમારી યાદ આવી ?’
બાના શબ્દોમાં લાગણી હતી. એમાં મીઠો ઠપકો હતો. કોઈ વડીલ આપણને વાત્સલ્યથી ઠપકો આપે એ આપણું સદ્ભાગ્ય કહેવાય.
મેં બે હાથ જોડીને નમસ્કાર કર્યાં. સ્મીત દ્વારા સૉરી પણ કહેવાઈ ગયું. પછી તરત મુળ વાત કરતાં મેં કહ્યું, ‘મને તો એમ કહેવામાં આવ્યું હતું કે તમે અન્દર પુજા કરો છો અને તમારી પુજાવીધી જોવાલાયક હોય છે એટલે હું અન્દર આવ્યો; પરન્તુ તમે તો…’
‘હું પુજા જ કરી રહી છું ને !’ કહીને બોલ્યાં, ‘જો આ મારો પૌત્ર એટલે મારો બાળકનૈયો. પેલા કનૈયાને માખણ બહુ ભાવતુ હતું અને મારા આ કનૈયાને વાર્તાઓ બહુ ભાવે છે. તે દરરોજ મારી પાસે આવીને – ‘દાદી, એક સ્ટોરી કહો ને !’ – એમ કહેતો હતો. મેં તેને સ્ટોરી કહેવાનું કામ પુજા કરવા જેટલા મહત્ત્વથી સ્વીકારી લીધું છે !
‘તમારી વાત જાણીને મને ખરેખર ખુબ આનન્દ થયો છે. તમે પુજાની નવી જ વ્યાખ્યા આજે મને આપી…!’
બા બે ઘડી મૌન સેવી રહ્યાં અને પછી બોલ્યાં, ‘આમ આપણે દરરોજ બાળકનૈયાનાં ભજનો લલકારીએ, તેને ફળ–નૈવેદ્ય ધરીએ, નાનકડા નટવરને લાડ લડાવીએ અને ઘરના જ બાળકનૈયાની ઉપેક્ષા કરીએ; એવું કેમ ચાલે ? તસવીર કે મુર્તીના કૃષ્ણની પુજા કરીએ અને જીવતા જાગતા કૃષ્ણ માટે આપણને ફુરસદ જ ન મળે તો એવી પુજા શ્રીકૃષ્ણને પણ કેમ ગમે ? અમારી ઉમ્મરના ઘણા લોકો મને કટાક્ષમાં કહે છે કે તમને લોહીના સમ્બન્ધનું વળગણ છે. દીકરાઓને લાડ કરવાં એ તો જુઠી માયા છે. હું તેમને કહું છું કે જુઠી માયા હોય તો ભલે રહી, લોહીના સમ્બન્ધનું વળગણ હોય તો છો રહ્યું; મારે કંઈ ત્યાગી–વીતરાગી નથી બનવું. હું એક સ્ત્રી છું, મા છું, દાદી છું. મને જે રોલ ભજવવા મળ્યો, એને મારે પુરી નીષ્ઠાથી ન્યાય આપવો છે. જો આ બધું માયા અને વળગણો જ હોય તોયે એ કંઈ મેં તો નથી જ બનાવ્યાં ને ? જેણે આ જગત બનાવ્યું છે એણે જ તો સમ્બન્ધોનો આ સરસ ખેલ રચ્યો છે. જશોદા તો પારકી મા હતી; તોય કૃષ્ણને વહાલ કરતી, જ્યારે હું તો મારા પૌત્રની સગી દાદી છું. એને વહાલ કરવાનો મને હક છે, એને વહાલ કરવું એ મારો ધર્મ છે. એનાથી ચડીયાતી કોઈ પુજા હોય એવું મને નથી લાગતું.’
અન્ધશ્રદ્ધાની ભેળસેળવાળી પ્રદુષીત ભક્તી કરતાં શ્રદ્ધાના મીશ્રણવાળું વળગણ કેવું પવીત્ર, આનન્દમય અને શાતાદાયક હોય એનો સાક્ષાત્કાર કરીને સાચે જ મેં ધન્યતા અનુભવી.
ભક્તીના નામે આપણે ખોટા માર્ગે ભટકી તો નથી ગયા ને ? ધર્મના બહાને આપણે આપણાં જીવનને અને આપણાં કર્તવ્યોને અન્યાય તો નથી કરી રહ્યાં ને ? ત્યાગ–વૈરાગ્યની શુષ્ક વાતો સાંભળીને આપણે એવા ભરમાઈ જઈએ છીએ કે હાથમાં રહેલાં રોકડાં સુખોને ફેંકી દઈને, પરલોકનાં સુખોરુપી કોણીએ વળગેલો ગૉળ ચાટવાના ઉધામા કરવામાં જીવતરને વેડફતાં રહીએ છીએ. જગતના સમ્બન્ધો મીથ્યા નથી. બ્રહ્મ સત્ય હોય તો જગત પણ સત્ય છે. મોહ અને માયાથી દુર ભાગવાની જરુર નથી. સમ્બન્ધોની જરુર પણ પડે છે, સન્તાનોની જરુર પણ પડે છે, સમ્પત્તીની જરુર પણ પડે છે. ભક્તીના ભ્રમમાં આ બધી હકીકતોને મીથ્યા અને નાશવન્ત સમજીને આધા જવાની જરુર નથી. આખું જગત મીથ્યા હોય તો આપણે સ્વયં પણ ક્યાં શાશ્વત છીએ ? નીર્ભેળ અને નીર્દોષ સુખ માણવું એમાં કોઈ પાપ નથી.
આપણે ઘરે પહોંચવામાં મોડા પડીએ ત્યારે આપણી પ્રતીક્ષામાં ભુખી રહેતી પત્નીનો પ્રેમ કઈ રીતે મીથ્યા કહેવાય ? પત્ની બીમાર પડે ત્યારે ઑફીસેથી રજા લઈને પતી તેની સેવામાં ખડો રહેતો હોય તો એ સેવાને શા માટે મીથ્યા કહીને વગોવવી ? આપણને જોઈને ખીલખીલાટ સ્માઈલથી આપણને તાજગીની દીક્ષા આપતા બાળક સાથેનું એટૅચમેન્ટ વળી શાનું મીથ્યા ? રીટાયર્ડ થયા પછી આપણી પાસે કશી પ્રવૃત્તી ન હોય, ત્યારેઆપણાં પૌત્ર–પૌત્રીઓ અને અન્ય સ્નેહી–સ્વજનો સાથે જે હળવાશ અનુભવીએ છીએ એને મીથ્યા કહેવાનું સાહસ કઈ રીતે થઈ શકે ? ફેમીલી–લાઈફને એન્જોયફુલ બનાવતાં આવડે તો મોક્ષ અને વૈંકુઠ પછી જખ મારે છે. સૌથી મોટી ભ્રાન્તી જો કોઈ હોય તો એ ત્યાગ છે. સંસાર જો ભવસાગર હોય તો આપણું જીવન એક નૌકા છે. નૌકાનો ત્યાગ કરીએ તો ભવસાગરમાં ડુબી મરીએ. ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે જો ઉભા રહેવાનું હોય તો હૅન્ડલ બરાબર પકડવું જ પડે. હૅન્ડલનો ત્યાગ કરીએ તો ભુંડી દશા થાય.
આપણું ઘર એ જ આપણું મન્દીર. પ્રસન્નતા આપણો પરમેશ્વર. કર્તવ્યો આપણી તપસ્યા. વહાલ અને વાત્સલ્ય એટલે પ્રસાદ. પરસ્પર પ્રત્યે વીશ્વાસ એ આપણો સમ્પ્રદાય. સાચી અને તટસ્થ સમજણ એ જ આપણો મોક્ષ. સંસારને ફેંકી દેવાથી સ્વર્ગ કે વૈકુંઠ મળી જતાં હોત તો આ પૃથ્વીલોક ક્યારનોય ખાલી થઈ ગયો હોત !
બાળકને ઉંઘાડવા માટે માતા જે હાલરડું ગાય છે, એનાથી અધીક પવીત્ર બીજું કોઈ ભજન હોઈ શકે ખરું ? વૃદ્ધ પેરન્ટ્સ કે દાદા–દાદીનો હાથ પકડીને તેમને ગાર્ડનમાં ફરવા લઈ જવાં કે ઘરમાં ટૉઈલેટ–બાથરુમ સુધી લઈ જવાં, એ શું અડસઠ તીર્થની યાત્રા નથી ?
ઘરમાં આવેલી પુત્રવધુના હાથની રસોઈ જમતી વખતે તેની પ્રશંસા માટે જે શબ્દો ઉચ્ચારાય એ શબ્દોનું મહત્વ મન્ત્ર કરતાં ઓછું હોઈ જ કેમ શકે ?
તમને આ સત્ય સમજાય છે ને ? કે પછી ગરબડીયા ગામનો બાવો તમને ઉઠાં ભણાવે એમાં જ રસ છે ?
 –રોહીત શાહ

Friday, October 16, 2015

સાત વૈજ્ઞાનિક અંધશ્રદ્ધાઓ
સૌરભ શાહ
સાયન્સના નામે કેટલી બધી ગેરમાન્યતાઓ આપણે મનમાં સંઘરી રાખી હોય છે. ધર્મ કે રીતિરિવાજો રૂઢિ પરંપરાના નામે ચાલતી ગેરમાન્યતાઓનો તથાકથિત સેક્યુલરો કે રૅશનલિસ્ટો વિરોધ કરતા રહે છે. પણ વૈજ્ઞાનિક ગેરમાન્યતાઓને કોઈ પડકારતું નથી, પડકારવાની હિંમત કરતું નથી, પડકારવાની દરકાર કરતું નથી. આજે પડકારીએ:

૧. આપણે આપણા મગજની કૅપેસિટિનો દસ ટકા જ ઉપયોગ કરીએ છીએ. સાચી વાત? ના, ખોટી વાત.

છેક ૧૯૦૭થી મોટિવેશનલ ગુરુઓ અને પ્રેરણાત્મક પ્રવચનોની પડીકી આપનારાઓ આવી હંબગ વાત ચલાવતા આવ્યા છે અને આપણે માનતા આવ્યા છીએ. બાકીના ૯૦ ટકા મગજનો ઉપયોગ કરતા થઈ જઈએ તો જિંદગીમાં શું નું શું કરી શકીએ એવું જતાવવા માટે આવું જુઠ્ઠાણું પ્રચાર પામ્યું. ક્યારેક તો આઈન્સ્ટાઈનના નામે આ ગપગોળું ચલાવવામાં આવ્યું. આઈન્સ્ટાઈને ક્યારેય આવું કહ્યું નથી.

દુનિયાના ટૉપમોસ્ટ ન્યુરોસાયન્ટિસ્ટ ડૉ. બૅરી બેયરસ્ટીને આ ગપ્પાંબાજીને પડકારતું સંશોધન કર્યું છે. સીટી સ્કૅન, એમઆરઆઈ સ્કૅન અને બીજી આધુનિક તકનિક દ્વારા બ્રેન ઈમેજિંગ કરીને પુરવાર થયું છે કે મગજનો કોઈપણ ભાગ સંપૂર્ણપણે શાંત કે પ્રવૃત્તિહીન હોતો નથી. ચોવીસે કલાક દિમાગનો દસ ટકા કરતાં ઘણો મોટો હિસ્સો પ્રવૃત્તિ કર્યા કરતો રહે છે.

આની સાથે બીજી એક વાત પણ સમજવી જોઈએ. આપણું મગજ સતત નવું નવું શીખવા માટે, સ્વીકારવા માટે ઘડાયેલું છે અને ઉંમર વધતાંની સાથે મગજને લગતી નાનીમોટી બીમારીઓથી દૂર રહેવું હોય તો મગજને હંમેશાં પ્રવૃત્તિશીલ રાખવું જોઈએ. નિવૃત્તિની વય પછી ઘણા માટે સાઠે બુદ્ધિ નાઠી એવું કહેવાય છે તે થતાં રોકવું હોય તો ભરપૂર વ્યસ્ત રહીને મગજને કામ કરતું રાખવું જોઈએ.

૨. ઓછા પ્રકાશમાં વાંચવાથી આંખોને નુકસાન થાય. સાચી વાત? ના, ખોટી વાત. ઓછા પ્રકાશમાં વાંચવાથી તે વખતે આંખો દુખવા માંડે છે કારણ કે પલક ઝપકાવ્યા વગર વાંચીએ ત્યારે આંખો ડ્રાય થઈ જાય જેને કારણે આંખો ભારે લાગવા માંડે. પણ જેવા તમે નૉર્મલ પ્રકાશમાં આવો કે તરત આ ટેમ્પરરી દુખાવો ગાયબ થઈ જાય. ઑપ્થેલ્મોલોજિસ્ટોએ પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે આછા પ્રકાશમાં વાંચવાથી આંખોને કદી કાયમી નુકસાન થતું નથી.

૩. ભારે વજન ઉપાડવાથી હર્નિયાનો પ્રૉબ્લેમ થાય. સાચી વાત? ના, ખોટી વાત. હર્નિયાની તકલીફને વજન ઉપાડવા સાથે કોઈ લેવાદેવા નથી. હર્નિયા બીજાં જ કારણોસર થાય છે. પણ જ્યારે તમે ભારે વજન ઉપાડો છો ત્યારે તમને, ઑલરેડી શરીરમાં ઊભી થઈ ગયેલી આ તકલીફ મહસૂસ થાય છે. આ તકલીફ વજન ઉપાડવાથી નથી સર્જાઈ હોતી. વજન ઉપાડવાને કારણે માત્ર એની હાજરીનો તમને ખ્યાલ આવતો હોય છે.

૪. વૉકર કે ચાલણગાડીની મદદથી બાળક વહેલું ચાલતાં શીખે છે. સાચી વાત? ના. ખોટી વાત. ઊલટાનું વૉકરને કારણે બાળક પોતાની મેળે મોડું ચાલતાં થાય એવી શક્યતા છે. પ્રયોગો પરથી ખબર પડે છે કે જે પેરન્ટ્સ વૉકરની મદદથી પોતાના બાળકને ચલાવે છે તેઓ બાળકના વિકાસમાં ૧૧ થી ૨૬ દિવસનો વિલંબ કરે છે- બાળક આટલા દિવસ મોડું ચાલતાં શીખે છે. વૉકરને લીધે બાળક પોતાનાં પગની હલનચલન જોઈ શકતું નથી. વૉકરને કારણે બાળકને પોતાની મેળે શરીર બૅલેન્સ કરતાં આવડતું નથી.

આમ છતાં પેરન્ટ્સ પોતાને જોવાની મજા પડે એટલે બાળક માટે વૉકર લઈ આવતાં હોય છે. વૉકર છોડી દીધા પછી બાળકે ફરી વાર, ચાલતી વખતે પોતાના પગના મસલ્સને અને બૅલેન્સ કેવી રીતે જાળવવું એ શીખવું પડે છે.

૫. બહુ ગળ્યું ખાતું બાળક ચીડિયું થઈ જાય છે. સાચી વાત? ના, ખોટી વાત. શ્યુગરને કારણે શરીરને બીજાં અનેક નુકસાન થતાં હશે પણ ચીડિયા સ્વભાવને ગળપણ સાથે કોઈ લેવાદેવા નથી. શ્યુગરથી દાંત ખરાબ થાય, વજન વધે અને એવા બીજા ઘણાં પ્રૉબ્લેમ્સ થાય. પણ બાળકના સ્વભાવમાં ચીડિયાપણું દેખાય તો એનું કારણ શ્યુગર નથી, કંઈક બીજું જ છે. નૉર્મલ શ્યુગર લેતું બાળક પણ ચીડિયા સ્વભાવનું હોઈ શકે છે.

આની સાથે બીજી એક વાત. પોપઆય નામના કાર્ટૂન કૅરેક્ટરને કારણે એક મિથ ચાલી કે પાલક-સ્પિનાચ ખાવાથી સ્ટ્રૉંગ થવાય કારણ કે એમાં આયર્ન છે. ખોટી વાત છે. પાલકમાં આયર્ન જરૂર છે અને પાલકની ભાજી બીજી ઘણી રીતે શરીર માટે સ્વાસ્થ્યવર્ધક છે. પણ પાલકમાંના આયર્નને કારણે શરીર સ્ટ્રૉંગ થઈ જાય છે એ વાતમાં સેહજ પણ તથ્ય નથી.

૬. રાત્રે ખાવાથી વજન વધે છે. સાચી વાત? ના, ખોટી વાત. શરીરને જેટલી કૅલરીની જરૂર હોય તેના કરતાં તમે વધારે ખાઓ તો વજન વધે અથવા તો તમે જેટલું ખાઓ છો એટલી કૅલરી રોજ ન ખાવો- રોજ એટલી મહેનત/કસરત/શારીરિક કામ ન કરો તો વજન વધે. તમે દિવસે ખાઓ કે રાત્રે ખાઓ- વજનને એની સાથે કોઈ લેવા નથી, કોઈ પણ સમયે ખાઓ. સંશોધન પરથી એવું તારણ નીકળ્યું છે કે જે લોકોને સવારે બ્રેકફાસ્ટ ખાવાની ટેવ છે તેઓ આખા દિવસ-સાંજ-રાત દરમિયાનના પોતાના ભોજનને સરખે ભાગે વહેંચી શકે છે. 

એકાદ ટંક ખૂબ વધું ખાઈ લેવું અને પછીનો ટંક અલમોસ્ટ ભૂખ્યા રહેવું એવી આદત નૉર્મલી જેઓ બ્રેકફાસ્ટ નથી કરતા એમને હોય છે. જો તમે દિવસમાં નિયમિતપણે ત્રણવાર ખાતા હો તો ત્રણમાંના કોઈ એક ટંકમાં વધુ પડતું ખાઈ નાખવાની લાલચ તમને થતી નથી.

૭. દિવસમાં ૮ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. સાચી વાત? ના, ખોટી વાત. પાણી પીવામાં કંઈ ખોટું નથી, સારું જ છે. અમેરિકાની નૅશનલ રિસર્ચ કાઉન્સિલના ફૂડ ઍન્ડ ન્યુટ્રિશન બોર્ડ ૧૯૪૫માં જાહેર કર્યું કે નૉર્મલ બોડીને રોજના અઢી લિટર પાણીની જરૂર પડે (અર્થાત ૮૫ ઔંસ અર્થાત્ લગભગ ૮ ગ્લાસ), ત્યારથી આ મિથ શરૂ થઈ.

હકીકત એ છે કે આપણા ફ્રૂટ્સ, દૂધ, જ્યુસ, શાકભાજી, બીજા ઘણા ખોરાકો, ઈવન બિયર વગેરેમાં પણ પાણીનું પ્રમાણ હોય છે. આ બધું પાણી મળીને રોજ શરીરમાં અઢી લિટર કે આઠ ગ્લાસ જેટલું પાણી જવું જોઈએ. વધારે પડતું કે બિનજરૂરીપણે પાણી પી પી કર્યા કરવાથી બ્લડમાંના સોડિયમનું લેવલ ઘટી જાય છે જેને કારણે મગજના કોષોને સોજો ચડી જાય અને એ કોષો મરી જાય. જોકે, આવું કંઈ નૉર્મલી થતું નથી, એક્સ્ટ્રીમ કેસીસમાં જ થાય. પણ ટૂંકમાં તમે જો રોજના ૮ ગ્લાસ પાણી ગટગટાવવાની ટેવ ધરાવતા ન હો પણ તમારા ખોરાક દ્વારા બીજી ઘણી રીતે પાણી શરીરમાં ઠલવાતું રહેતું હોય તો ફિકર કરવાની કોઈ જરૂર નથી.

આવી તો બીજી કેટલીય વૈજ્ઞાનિક ગેરમાન્યતાઓમાં આપણે માનતા હોઈએ છીએ પણ ક્યારે એ સાયન્સના આધારે રચાયેલી છે એટલે એને પડકારવાનો વિચાર પણ નથી આવતો. હવે તો ગૂગલ તમારી પાસે છે. તમારામાં જો નીરક્ષીર વિવેક હશે તો ગૂગલ પર ખાંખાખોળા કરીને, એમાંથી જે કચરો મળે તેને ચાળી નાખીને તમે આવી ઘણી ગેરમાન્યાતાઓને ખંખેરી શકો. આજકાલના ઘણા સારા ડૉક્ટરો પણ તમને ગેરમાર્ગે જતાં રોકે છે, કારણ કે એમને પણ હવે ખ્યાલ આવ્યો છે કે શું સાચું છે ને શું ખોટું. ઉપરાંત, જે ખોટું છે તેનો પ્રચાર કરવા જતાં ક્યાંક પોતે જ ફસાઈ ન જાય એનો પણ એમને ભય હોય છે. તો શરૂ કરો, તમારા ફોન કે આઈપૅડ કે પીસી પરનું સર્ચ એન્જિન. પણ આ શુભ કાર્યના આરંભ પહેલાં લીંબુમરચાનું સ્ક્રીન સેવર ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ;))

Monday, October 5, 2015

તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?

તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?

–કામીની સંઘવી
બે તહેવારો આવતા શનીવારે છે, પંદરમી ઓગસ્ટ આપણો સ્વતન્ત્રતા દીવસ અને હીન્દુ ધર્મના પવીત્ર મહીના શ્રાવણની શુભ શરુઆત. તેની પુર્વ સંધ્યાએ આજે બે સ્ત્રીઓ વીશે વાત કરવી છે. એક તો છે છેલ્લા કેટલાય દીવસોથી ટી.વી. મીડીયા તથા સોશીયલ સાઈટ પર ધુમ મચાવતાં રાધેમા અને બીજાં છે કશ્મીર વેલીના કુપવારા જીલ્લામાંથી ભારતીય સીવીલ સર્વીસની એક્ઝામ પાસ કરનારાં પહેલાં મુસ્લીમ મહીલારુવેદા સલામ.
પહેલાં વાત રુવેદા સલામની. જન્મે મુસ્લીમ અને છેલ્લાં કેટલાંય દસકાથી અસલામતી અને અશાન્તીથી ખદબદતી કશ્મીર વેલીમાં જન્મનાર સુશ્રી રુવેદા સલામનું નાનપણથી સપનું હતું કે ભારતીય સીવીલ સર્વીસમાં જવું. કશ્મીર વેલીના જાણીતા દુરદર્શન કેન્દ્રના ડેપ્યુટી ડીરેકટર જનરલ અને ખુલ્લી વીચારસરણી ધરાવતા પીતાના પ્રેમે, રુવેદાના સીવીલ સર્વીસમાં જવાના નીર્ણયને પ્રોત્સાહન મળ્યું. પણ યુ.પી.એસ.સી.ની એક્ઝામ પાસ કરવી તે ખાવાના ખેલ નથી. એટલા માટે રુવેદાએ સ્કુલ પછી કશ્મીરની સરકારી કૉલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યું. જેથી સીવીલ સર્વીસની પરીક્ષામાં સફળ ન થાય તો પણ એક ડૉકટર તરીકેની કરીયર બની શકે. મુસ્લીમ અને સ્ત્રી હોવાના નાતે રુવેદાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કુપવારામાં જન્મેલી આ છોકરી માટે કશું સામાન્ય ન હતું. સતત કાશ્મીર વેલીમાં ચાલતા આંતકવાદી હુમલા, હડતાળ ને બન્ધના કારણે ભણવામાં સતત કોન્સન્ટ્રેશન જાળવી રાખવું અઘરું હતું. અધુરામાં પુરું મુસ્લીમ સમાજમાં છોકરીઓને બહુ નાની ઉમ્મરે પરણાવી દેવામાં આવે છે. તેથી સગાં–સમ્બન્ધીઓનાં અનેક દબાણ છતાં; રુવેદાનાં માતા આ બધી મુશ્કેલીઓ સામે અડીખમ ઉભાં રહ્યાં. જેને કારણે બીજા બધા સામાજીક કે રાજકીય પ્રશ્નોને બાજુ પર મુકીને રુવેદા પોતાની જીવનપરીક્ષામાં સફળ બન્યાં.
કશ્મીર વેલીમાં રહીને તેમને યુ.પી.એસ.સી.ની એક્ઝામ માટે જોઈએ તેવી સવલત ન હતી મળી. કારણ કે ત્યાં તેવા કોઈ કોંચીગ ક્લાસ ચાલતા ન હતા. રુવેદાએ પોતાના સ્ટડી માટે ફેસબુક (સોશ્યલ મીડીયા) અનેઈન્ટરનેટનો ભરપુર ઉપયોગ કર્યો. વળી જરુરી પુસ્તકો તેમણે દીલ્હીથી પણ મંગાવ્યાં. યુ.પી.એસ.ની એક્ઝામ આપતાં પહેલાં તેમણે જમ્મુ અને કશ્મીરની સ્ટેટ સર્વીસ એકઝામ આપી. તે સમયે તેઓ એમ.બી.બી.એસ. થઈને શ્રીનગરની સીવીલ હૉસ્પીટલમાં ઈન્ટર્નશીપ કરતાં હતાં. તેથી તે હૉસ્પીટલમાં જોબ સમયે પુસ્તકો લઈને જતાં. જે ફ્રી સમય મળે તેમાં વાંચતાં. એકવાર રાજ્ય કક્ષાની એક્ઝામ પાસ કરી પછી તેમણે મેડીકલ ફીલ્ડ છોડ્યું. છ મહીનાની ટ્રૅનીંગ પછી તેમનું પોસ્ટીંગ પણ થયું. એક વર્ષ તેમણે કે.એ.એસ. ઓફીસર તરીકે જૉબ પણ કરી. તે દરમીયાન યુ.પી.એસ.સી.ની એક્ઝામની તૈયારી તો ચાલતી જ હતી. પણ ચાલુ સર્વીસે વાંચવા માટે કેટલો સમય મળે ? તેમના સીનીયર ઓફીસરને ખબર પડી કે રુવેદા યુ.પી.એસ.સી. એક્ઝામની એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી છે ને હવે મેઈન એક્ઝામની તૈયારી કરે છે. એટલે તેમણે રુવેદાને વીસ દીવસની રજા પાસ કરી આપી. રુવેદા કહે છે તે વીસ દીવસને કારણે જ તેમના રેન્કમાં ઘણો ફેર પડ્યો. તે પછી તેમને ટ્રેનીંગ માટે બેંગ્લોર મોકલવામાં આવ્યાં. ત્યાં ફીઝીકલ અને મેન્ટલ સખત તાલીમ લીધી. આઠ મહીના પહેલાં તેમની ચેન્નાઈ આઈ.પી.એસ. ઓફીસર તરીકે નીમણુક થઈ.
રુવેદા માને છે કે દેશદાઝ હોય તો તમે કોઈપણ પ્રોફેશનમાં હોવ, પછી તે જર્નાલીઝમ હોય કે મેડીસીન હોય કે પછી બીઝનેસમેન તમે દેશ માટે સેવા કરી શકો છો. બસ, દેશ માટે કશું કરવાની તાલાવેલી હોવી જોઈએ. રુવેદા કહે છે કે હું મારા ધર્મને દોષ નથી આપતી; પણ એ વાત સાચી છે કે મુસ્લીમ સ્ત્રીઓનાં લગ્ન બહુ નાની ઉમ્મરે કરી દેવામાં આવે છે. સત્તાવીસ વર્ષીય ડૉ. રુવેદા સલામ કહે છે કે તેઓ ત્યારે જ લગ્ન કરશે જ્યારે તેમને તેમના જેવો એડ્યુકેટેડ છોકરો મળશે. રુવેદાનો સકસેસ મંત્ર છે ‘હાર્ડ વર્ક અનેટોટલ ફોકસ ઓન ધ ગોલ’. ઘણા લોકો તેમને વીવાદાસ્પદ સવાલ પુછીને પરેશાન કરતા હોય છે, તેના માટે સલામ કહે છે કે પોતે હમ્મેશાં વીવાદાસ્પદ ટીપ્પણી કરવાનું ટાળ્યું છે. જેથી તેઓ ફોકસ ગુમાવ્યા વીના પોતે જ કરવા ઈચ્છે છે તે કરી શકે.
સ્ત્રી ધારે તો શું કરી ન શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે રુવેદા સલામ. ને સ્ત્રી ધારે તો ન કરવા જેવું પણ કેટલું કરે તેનું ઉદાહરણ, એટલે રાધેમા. પીસ્તાલીશ વર્ષ( સાચી ઉંમર રાધેમા જાણે !)ની આ સ્ત્રીનાં દર્શન માટે તેમના દરબારમાં શ્રીમન્તોની લાઈન લાગે છે. આ દેવીને મોડર્ન વસ્ત્રો કે હીન્દી ફીલ્મ આઈટેમ સોંગનો વાંધો નથી. રાધર તેમના દરબારમાં આ ગીતો પર રાધેમા અને તેમનાં બાળકો–ભાવીકો ડાન્સ કરે છે. વળી ભક્તો તેમને તેડી લે કે ઉંચકી લે કે તેમને ભેટે કે તેઓ તેમને ભેટે તેનો કોઈ બાબતનો વીરોધ તેઓ નથી કરતાં; રાધર ભક્તો તેમને તેડે ને ડાન્સ કરે કે તેમને ચુમ્બન કરે તેવું તેમના દરબારમાં સામાન્ય થઈ પડ્યું. જો કોઈને વીરોધ હોય તો તેઓ જાણે. પણ રાધેમા મોડર્ન મા છે, તેઓ હેવી મેકઅપ ને અને ડેઈલી સોપની હીરોઈન્સને પણ ટક્કર મારે તેવાં ઘરેણાં અને સેંકડો ફુલોના હારતોરા પહેરીને ફરે છે. તેમને ઓછાં કે આછાં વસ્ત્રોનો છોછ નથી. તેમની સાથે ડાયરેક્ટ ભગવાન પણ વાત કરે છે તેવો તેમનો દાવો છે. પરમ્પરાગત હીન્દુ ધર્મનાં સાધ્વી કરતાં તેમની પહેચાન અલગ છે. કારણ કે તેઓ સંસારી છે. તેમના લગ્ન સત્તર વર્ષની ઉમ્મરે થયાં હતાં. તેમને બે પુત્રો થયા ને પતી ટેલરીંગ કામ માટે દોહા જતો રહ્યો. પછી તેમણે બાવીસ વર્ષની ઉમ્મરે પરમહંસ બાગ ડેરાના મહન્ત રામદીન દાસ 1008 પાસે દીક્ષા લીધી. તે પછી મુમ્બઈના મીઠાઈની ચેઈન શૉપ ‘એમ. એમ. મીઠાઈવાલા’ના ચેરમેન મનમોહન ગુપ્તાના ઘરે મુમ્બઈ શીફ્ટ થયાં. ત્યાં તેમણે આ ‘સુખવીન્દર કૌર’ નામધારી સ્ત્રીને ‘રાધેમા’ તરીકે લોકો સામે પ્રોજેક્ટ કર્યા. રેસ્ટ ઈઝ ધ હીસ્ટ્રી ! અર્ધ શીક્ષીત અને ગામડીયણ આ બહેન, રાતોરાત દેવી બની ગયાં ! આજે તેમના દરબારમાં શ્રીમન્ત અને ફીલ્મસ્ટાર્સ, તેમની દૈવી કૃપા મળે તે માટે લાઈન લગાવે છે.
પણ નીક્કી ગુપ્તા નામની આ ગુપ્તા પરીવારની વહુએ તેના પતી નકુલ ગુપ્તા અને બીજા પાંચ સાસરીયાં તથા રાધેમા વીરુદ્ધ મુમ્બઈ પોલીસને ફરીયાદ કરી કે તે દહેજ માટે એને હેરાન કરે છે. કાલ સુધી ભક્તોના દરબારમાં રંગેચંગે ડાન્સ કરતાં રાધેમા રાતોરાત રડવા કકળવા માંડ્યાં છે કે તેઓ નીર્દોષ છે. તેમની બે વહુઓ પણ રોયલ ફેમીલીમાંથી આવે છે. જો તેમની પાસેથી તેમણે દહેજ ન માંગ્યુ હોય તો નીક્કી જેવી ગરીબ મહીલા પાસેથી તો કેમ માંગે ? ખેર, મુમ્બઈ પોલીસ એનું કામ કરશે. પણ આવાં રાધેમાને દેવી તરીકે પુજતા આપણા લોકો વીશે શું કહેવું ?
શ્રાવણ મહીનો હીન્દુ ધર્મનો પવીત્ર મહીનો ગણાય છે; પણ તેમાં આજકાલ અન્ધશ્રદ્ધાનું ભારોભાર મીશ્રણ થઈ ગયું છે અને એટલે જ આવાં રાધેમા જેવાં કીમીયાગરો સમાજમાં ફુલેફાલે છે. શ્રાવણ માસમાં હીન્દુઓનાં ઘરેઘરે ઉપવાસો, સત્યનારાયણની પુજા અને બીજાં અનેક ધાર્મીક વીધીવીધાન થતાં હોય છે. જાણે વર્ષમાં એક જ મહીનામાં દાન–ધરમ કરીને, વર્ષભર કરેલાં પાપ ધોઈને પુણ્ય કમાઈ લેવાનું હોય ! સમાજમાં આવાં રાધેમા સાધ્વી તરીકે સફળ પ્રેક્ટીસ કરી શકે છે તેને માટે આપણે જ જવાબદાર છીએ. જીવનમાં મુશ્કેલીઓ તો કોને નથી હોતી ? પણ આવાં રાધેમા જેવા ધુતારાનો સહારો લઈને શોટર્કટથી મુશ્કેલી દુર કરવાના ઉપાય કરતાં જ આપણે ભેરવાઈએ છીએ. નાનાંમોટાં બધાં મન્દીરોમાં દર્શન સમયે થતી ભાગદોડને કારણે દર વર્ષે આપણે ત્યાં અનેક લોકો ઈજા પામે છે કે મરે છે; પણ આપણી મન્દીર તરફની દોટ અટકતી નથી ! શા માટે તમે ધાર્મીક છો તેવું દેખાડવા માટે પણ મન્દીર જવું પડે ? શા માટે આપણને રાધેમાની જરુર પડે ? કારણ કે આપણને સફળતા માટે શોર્ટ કટ જોઈએ છે. બસ, જલદી સફળ તો થઈ જવું છે; પણ તેને માટે સખત તો શું જરાયે મહેનત નથી કરવી.
આપણી ગુજરાતી કહેવત છે : ‘ગામમાં લોભી હોય ત્યાં ધુતારા ભુખે ન મરે.’ તેથી રાધેમાને દોષ આપતાં પહેલાં આપણા ગરેબાનમાં ઝાંકવાની જરુર છે કે તમે ધર્મના નામે કોઈ ડામીશને તો પુજતા નથી ને ? ને શા માટે ભગવાન અને તમારી વચ્ચે આવા ‘કમીશન એજન્ટ’–વચેટીયાની જરુર તમને પડે ? કણકણમાં ઈશ્વર છે જ; તો પછી ઈશ્વરને તે કણકણમાં જ શોધી લેવો ઘટે.
આશ્ચર્ય એ છે કે વીકીપીડીયા પર પણ રાધેમા વીશે અનેક માહીતી ફોટા ઉપલબ્ધ છે; પણ દેશના કશ્મીર સ્ટેટની પહેલી યુ.પી.એસ.સી એક્ઝામ પાસ કરનાર મુસ્લીમ મહીલા રુવેદા વીશે કોઈ એક પેજ પણ નથી !
તે જ દેખાડે છે કે લોકોને શું જોઈએ છે.. ‘રાધેમા’ કે ‘સલામ રુવેદા’ !
: રેડ ચીલી :
Education is the basic tool which will empower women,
make them financially independent,
help them make the right choices
… Ruveda Salam …

Tuesday, September 22, 2015

ગૉસિપખોર કોણ છે: સ્ત્રી કે પુરુષ


વગોવાતી હોય છે સ્ત્રીઓ પણ મારા હિસાબે પુરુષો વધારે કૂથલીખોર અને ચુગલીખોર હોય છે. ચાર મળે ચોટલા ને ભાંગી નાખે ઓટલા જેવી કહેવત પુરુષોએ જ પોતાની આ એબ ઢાંકવા સ્ત્રીઓની વગોવણી માટે બનાવી છે. પુરુષો માટે કેમ એવી કોઈ કહેવત નથી. પુરુષોનું ગૉસિપિંગ એમની તથાકથિત દુનિયાદારીની વાતો પાછળ ઢંકાઈ જતું હોય છે. સલમાન ખાનથી લઈને અનિલ અંબાણી સુધીની હસ્તીઓ વિશે અને બિલ્ડિંગના સેક્રેટરીથી લઈને ઑફિસના બૉસ વિશેની કૂથલીઓનું જન્મસ્થાન પુરુષોનું દિમાગ હોય છે.

મેલ ગૉસિપનું સૌથી મોટું કારણ પુરુષોમાં ઊંડે સુધી ધરબાઈ ચૂકેલી રહી ગયા હોવાની લાગણી છે. તમે લઈ ગયા અને અમે રહી ગયા. ઑફિસમાં કોઈને પ્રમોશન મળ્યું તો એ તો બૉસનો ચમચો છે. પોતાની ઉંમરના કોઈ પુરુષને સુંદર સ્ત્રી સાથે કૉફી શૉપમાં જોયો તો એ કૅરેક્ટરલૅસ છે. કોઈએ નવી ગાડી વસાવી તો એ બે નંબરિયો છે. કોઈનું જાહેર સન્માન થયું તો એ પીઆરશિપમાં પાવરધો છે.

દારૂનું પીઠું અર્થાત્ બાર કે પબમાં પુરુષમિત્રો એકલા બેઠા હોય તો પોતપોતાની પરિચિત હોય એવી (પણ ‘હાથમાં ન આવી’ હોય એવી) સ્ત્રીઓની ગૉસિપ ચાલવાની અને આમાંથી બે મિત્રો બહાર સિગારેટ પીવા ગયા તો પાંચ મિનિટ માટે એમના વિશે પણ ગૉસિપ કરી લેવાની.

લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે શૅરબજાર વિશે ગૉસિપ કરવાની. દિગ્વિજય સિંહ અને અરુણ જેટલી પોતાના સગ્ગા સાળા હોય એમ એમના વિશેની મનઘડંત અંગત વાતો વિશે ગૉસિપ કરવાની.

ઑફિસમાં લંચ ટાઈમે કલીગ્સની કૂથલી ન કરીએ ત્યાં સુધી ભૂખ્યા જ છીએ એવું લાગે. ધંધાદારીઓએ રાઈ્વલ પાર્ટીની આર્થિક હાલત કેટલી ડામાડોળ છે અને માર્કેટમાંથી ઉઠાવેલા પૈસા એ કેવી રીતે ચૂકતે કરશે એની ચિંતા કરવાના બહાને એના વિશે અફવાઓ ફેલાવવાની. રામાયણના ધોબીને આદર્શ ગણનારાઓનો તોટો નથી પુરુષોની દુનિયામાં.

કોઈની સિદ્ધિ જોઈને પોતાનો ગરાસ લૂંટાઈ જતો હોવાનું માનીને કૂથલી કરનારા પુરુષોનો વર્ગ સૌથી બહોળો છે. બીજાને આગળ નીકળી જતાં જોઈને પુરુષોને સૌથી મોટો અફસોસ એ થતો હોય છે કે પેલો દોડવા માંડ્યો ત્યારે હું ત્યાં કેમ નહોતો, એના પગમાં આંટી મારીને એને પાડવા માટે! આ અફસોસ પછી એના માટેની કૂથલીનું સ્વરૂપ ધારણ કરે અને જોતજોતામાં વાત ફેલાઈ જાય કે ભઈ, આ તો અલ્લા મહેરબાન તો ગધા પહેલવાન જેવી વાત છે.

પુરુષોને પોતાની હાર સ્વીકારતાં નથી આવડતું, મેલ ઈગો વચ્ચે આવતો હોય છે. કોઈને સફળ થતાં જોઈને એને લાગતું હોય છે કે, પોતે નિષ્ફળ ગયો છે અને એમાંય પોતાના જ ઘરમાં પત્નીના મોઢે એ કોઈ પુરુષની સિદ્ધિનાં વખાણ સાંભળે ત્યારે તો નિષ્ફળતાની લાગણી બેવડાઈ જતી હોય છે. પછી એ બમણા જોરથી પેલા સિદ્ધિ મેળવનારની બદબોઈ કરવા માંડશે. પત્નીને કહેશે, ‘તને ખબર નથી કે એની પર્સનલ લાઈફમાં કેટલા લોચા છે.’ બે વખાણ શું કર્યા પત્ની જાણે પેલા જોડે ભાગી જવાની હોય એવી ઈન્સિક્યોરિટી પુરુષમાં પ્રગટે છે. કૂથલી કરવાની પુરુષોની રીત પણ નિરાળી હોવાની. પોતે બાયસ્ડ નથી એવું જતાવવા ફ્રેન્ડ સર્કલમાં સૌથી પહેલાં તો એ પેલાનાં બે વખાણ કરશે: ‘આમ તો એ બહુ ભલો માણસ છે, જેમ ઑફ અ પર્સન...’ પછી તર્જની-અંગૂઠાનું સર્કલ બનાવી છેલ્લી ત્રણ આંગળીઓ ઊંચી કરશે અને ધીમે રહીને ઉમેરશે, ‘પણ સાંભળ્યું છે કે એને એના સગા દીકરા સાથે ઊભ્ભે નથી બનતું... સાચું ખોટું તો ભગવાન જાણે પણ પાર્કમાં કોઈ કહેતું હતું...’

સવારના મૉર્નિંગ વૉક માટે પાર્કમાં જઈને સેહત બનાવવાને બદલે ગામગપાટા મારનારા પુરુષોને તમે તરત ઓળખી જઈ શકો છો. એકાદ રાઉન્ડ માર્યા પછી દરિયાકિનારે લટાર મારવા નીકળ્યા હોય એવી સ્લો મોશન ગતિમાં પગ ચાલતા હોય અને જુબાન નૉનસ્ટૉપ ૬૦ની સ્પીડે ચાલતી હોય એ આવા પુરુષોની ઓળખાણ છે. હકીકત એ હોય કે પાર્કમાં કોઈએ આવું ન કહ્યું હોય પણ પોતાના જ ઘરમાં પોતાને દીકરા સાથે અણબનાવ હોય એટલે બીજાના માટે આવી ગૉસિપ શરૂ કરી દેવી, જેથી ભવિષ્યમાં પોતાના ઘરના ઝઘડા બહાર છતા થાય ત્યારે કહેવા ચાલે કે ઘેર ઘેર માટીના ચૂલા.

પુરુષની ઉંમર વધતી જાય એમ ગૉસિપ ફેલાવવાનું અને ગૉસિપ માણવાનું એમને વધારે ને વધારે મન થતું જાય. ટીન એજર્સ તો બિચારા પોતાનામાં જ એટલા રચ્યાપચ્યા હોવાના કે બીજાઓ વિશે શું ગૉસિપ કરે. પરણ્યા પછી આ કૉટેજ ઈન્ડસ્ટ્રીનો રિયલ પાયો નખાય અને રિટાયર્મેન્ટ પછી તો એ ગૃહોદ્યોગમાંથી મલ્ટિનેશનલ કંપની બની જાય. લો યાદ આવ્યું. પુરુષો માટે પણ આવી કહેવત તો છે જ: નવરો બેઠો નખ્ખોદ વાળે.

સૌરભ શાહ
---
પ્રથમ પુરુષ એકવચન
ઉતર નશા જબ ઉસકા જાતા,
આતી હૈ સંધ્યા બાલા,
બડી પુરાની, બડી નશીલી
નિત્ય ઢલા જાતી હાલા;

જીવન કે સંતાપ શોક સબ,
ઈસકો પીકર મિટ જાતે;
સુરા-સુપ્ત હોતે મદ-લોભી
જાગૃત રહતી મધુશાલા.

- હરિવંશરાય બચ્ચન

બૅવતન થયા પછી


પૂર્વમાં ઈરાક, ઉત્તરમાં ટર્કી, દક્ષિણમાં જૉર્ડન અને ઈઝરાયલથી ઘેરાયેલા સીરિયાની પશ્ર્ચિમે ભૂમધ્ય સમુદ્ર છે. લગભગ પોણા બે કરોડની વસ્તી. આ આરબ દેશ પર એક જમાનામાં ફ્રેન્ચ લોકોએ શાસન કર્યું. એમના ગયા પછી અનેક લશ્કરી બળવા થયા. ચાળીસ વર્ષ સુધી અસાદ બાપ-દીકરાએ હકૂમત ચલાવી. ૨૦૧૧માં હાફિઝ અલ-અસાદના દીકરા બશર અલ-અસાદ સામે બળવો થયો. ત્યારથી આજ સુધી આ ટચૂકડા દેશમાં એવી ક્રાઈસિસ સર્જાઈ છે જેને કારણે અત્યારે યુરોપિય દેશો ભયભીત બની ગયા છે - સીરિયાથી આવતાં શરણાર્થીઓનાં ધાડાં એમના દેશોમાં ઘૂસી જાય છે એની ફિકરમાં.

પ્રેસિડેન્ટ અસાદના જુલમી શાસનની સામે બળવો થયા પછી સીરિયામાં સિવિલ વૉરની સ્થિતિ સર્જાઈ. સંયુક્ત રાષ્ટ્રસંઘના અંદાજ મુજબ ૨૦૧૧ અને ૨૦૧૨નાં બે વર્ષ દરમ્યાન આ ગૃહયુદ્ધમાં ૬૦,૦૦૦ લોકોનાં મોત થયાં. ટૅન્ક અને કેમિકલ વેપન્સ ધરાવતાં રોકેટ્સ જેવાં આધુનિક શસ્ત્રો સરકારે પોતાની જ પ્રજા સામે વાપર્યાં. લશ્કરમાંથી બળવો કરીને છૂટા થયેલા સૈનિકો શસ્ત્રો સાથે વિરોધ પક્ષમાં જોડાયા. અને સ્થાનિક મુસ્લિમ તથા લઘુમતી કુર્દ પ્રજા આપસમાં લડવા લાગી. કોણ કોનો વિરોધ કરે છે, શું કામ લડે છે એ જાણવું ઘડીભર મુશ્કેલ બની ગયું. દેશની અડધા કરતાં વધારે ભાગની વસ્તી આ સિવિલ વૉરમાં સંડોવાઈ. અન્ન પુરવઠો ખોરવાઈ ગયો. આરોગ્ય સેવા કથળી ગઈ. મોટાભાગના સીરિયન શરણાર્થીઓએ જાન બચાવીને પડોશના જૉર્ડનમાં આશરો લીધો. જૉર્ડન માટે આ પરિસ્થિતિ દુકાળમાં અધિક માસ જેવી થઈ. કેટલાક ટર્કી તરફ ભાગ્યા. અને વધારે ડેસ્પરેટ, અને આશા રાખીને બેઠેલા જે સીરિયનો હતા તેઓ ભૂમધ્ય સમુદ્ર ઓળંગવાનું જોખમ ખેડીને ગ્રીસ ભણી જવા લાગ્યા. અત્યારે, યુનોના અંદાજ પ્રમાણે ૪૦ લાખથી વધુ સીરિયનો દેશ છોડીને આજુબાજુના તેમ જ દૂરના દેશોમાં શરણું શોધી રહ્યા છે.

સૌથી વધુ સીરિયન શરણાર્થીઓને ટર્કીએ સ્વીકાર્યા છે - લગભગ વીસ લાખ. એ પછી લૅબનોન (દસ લાખ), જૉર્ડન (છ લાખ), ઈરાક (અઢી લાખ) અને ઈજિપ્ત (સવા લાખ). ૯૮ હજાર સીરિયન શરણાર્થીઓ જર્મનીમાં આશરો લેવા માગે છે. સ્વિડનમાં ૬૪,૦૦૦, ફ્રાન્સમાં ૬,૭૦૦, બ્રિટનમાં ૭,૦૦૦, ડેન્માર્કમાં ૧૧,૩૦૦, હંગેરીમાં ૧૮,૮૦૦ શરણાર્થીઓ, સીરિયન નાગરિકત્વ ધરાવતા, આવવા માગે છે. આ ઉપરાંત નેધરલેન્ડ, ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝરલૅન્ડ અને ગ્રીસ તો ખરું જ - જે સીરિયન શરણાર્થીઓને સ્વીકારશે. કેનેડાએ ૧૦,૦૦૦ શરણાર્થીઓ સ્વીકારવાની જાહેરાત કરી છે. આ બધા આંકડામાં જે શરણાર્થીઓ આવી ચૂકયા છે તેમ જ જેમને હવે પછીનાં વર્ષોમાં પ્રવેશ મળશે તે બધાનું ટોટલ આવી જાય. ઑસ્ટ્રેલિયાએ ૧૨,૦૦૦ને લેવાની વાત કરી છે. અને પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ ગઈ કાલે જ જાહેરાત કરી કે અમેરિકા આગામી વર્ષોમાં તબક્કાવાર કુલ ૧૦,૦૦૦ સીરિયન્સને શરણું આપશે જેની સામે અમેરિકામાં જબરજસ્ત વિરોધ થયો છે.

મઝાની વાત એ છે કે બહેરિન, કુવૈત અને સાઉદી અરેબિયાએ એક પણ સીરિયન શરણાર્થીને આશરો આપ્યો નથી. આ દેશોનું કહેવું છે કે સીરિયાથી ભાગીને આવતા આ (મોટાભાગના) મુસ્લિમોને અમારા દેશમાં પ્રવેશ જોઈતો હશે તો એમણે બીજાઓની જેમ રેગ્યુલર વિઝા માટે ઍપ્લાય કરવું પડે. બાકી માનવતાના ધોરણની વાત કરતા હો તો એ લોકોની મદદ માટે અમે યુનોને મિલિયન્સ ઓફ ડૉલર્સ ડોનેટ કર્યા જ છે. યુરોપિય દેશોએ બીજા વિશ્ર્વયુદ્ધ પછી યુનો સાથે જે સંધિ કરી છે એના આધારે એમણે આ શરણાર્થીઓ સ્વીકારવા જ પડે, અમારા પર આવું કોઈ બંધન નથી એવું અખાતના આ દેશોનું કહેવું છે. સાઉદી અરેબિયાએ ‘ઉદારતા’ દેખાડતાં કહ્યું છે કે જર્મનીને અમે ૨૦૦ મસ્જિદ બાંધી આપવા તૈયાર છીએ જ્યાં આ સીરિયન શરણાર્થીઓ નમાઝ પઢી શકે!

બીજા વિશ્ર્વયુદ્ધ પછી, આખા યુરોપમાં લાખો લોકો પોતાના દેશથી વિખૂટા પડી ગયા અને એમની સમસ્યાનો નીવેડો લાવવાની જરૂર જણાઈ ત્યારે, ૧૯૫૧માં રેફ્યુજી ક્ધવેન્શનમાં યુરોપના દેશોએ એક સંધિ પર સહીઓ કરી. યુરોપના કોઈપણ દેશમાં ત્યાંના નાગરિક પર પોતાની જ સરકાર દ્વારા જોખમ તોળાતું હોય તો એને આશરો અપાશે - મરવા માટે પાછો ધકેલી દેવાશે નહીં - એ બાબત પર સર્વસંમતિ સધાઈ. ૧૯૬૭માં આ સંધિમાં સુધારો થયો અને યુરોપને બદલે વિશ્ર્વના કોઈપણ દેશમાં - એવી વાત ઉમેરાઈ.

છેલ્લા દાયકાઓમાં આ સંધિ પર વિશ્ર્વના ૧૪૨ દેશો સહી આપી ચૂક્યા છે. સાઉદી અરેબિયા, કુવૈત, બહેરિન, કતાર, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતે (યુએઈ) આ સંધિ પર સહી નથી કરી. જોકે યુએઈ-એ દિલદારી દેખાડીને અઢી લાખ સીરિયન શરણાર્થીઓ સ્વીકાર્યા છે.

સીરિયન નાગરિકો સિવિલ વૉરથી થાકીને તેમ જ આઈએસઆઈએસ (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક ઍન્ડ અલ-શામ)ના આતંકવાદથી બચવા પોતાનો દેશ છોડીને ભાગી રહ્યા છે ત્યારે સાઉદી અરેબિયા સહિતના ગલ્ફના દેશોને અને યુરોપના દેશોને ચિંતા છે કે આ શરણાર્થીઓમાં કયાંક આતંકવાદીઓ અમારા દેશમાં ઘૂસી ન જાય. પોતે આતંકવાદી ન હોય પણ બીજા આતંકવાદીઓને સપોર્ટ કરે, એમના માટે લોકલ સિસ્ટમ ઊભી કરવામાં મદદ કરે એવું પણ બને. આ દેશોનો ભય સાચો છે. કારણ કે યુનોની સંધિ મુજબ તમારે આ ઑફિશ્યલ શરણાર્થીઓને આટલા હક્ક આપવા પડે: ૧. દેશમાં ગેરકાયદે ઘૂસી જવા બદલ આ શરણાર્થીઓ પર કાયદેસર પગલાં ન લઈ શકાય. ૨. ઘર મેળવવાનો એમને હક્ક છે. ૩. કામ કરવાનો હક્ક છે. ૪. શિક્ષણ પામવાનો અને સરકારી મદદ મેળવવાનો હક્ક છે. ૫. અદાલતનું શરણું લેવાનો હક્ક છે. ૬. અને સરકારી ઓળખપત્ર તેમ જ પ્રવાસ માટેના દસ્તાવેજો (અથાત્ પાસપોર્ટ વગેરે) મેળવવાનો પણ હક્ક છે.

બરાક ઓબામાની ૧૦,૦૦૦ રેફ્યુજીઝ સ્વીકારવાની જાહેરાત સામે એટલા માટે જ વિરોધ થયો. લોકો કહેવા લાગ્યા કે બોસ્ટનમાં મૅરેથોન દોડ વખતે થયેલા બૉમ્બધડાકા ભૂલી ગયા?

૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાનને છૂટું પાડીને ભારતે બાંગ્લાદેશની રચના કરવામાં ભાગ તો લીધો પણ એ સમયે ભારતમાં આવેલા બાંગ્લાદેશી શરણાર્થીઓમાંના આજે પણ ત્રિપુરા, ઓરિસ્સા વગેરેમાં ઠેર ઠેર પથરાયેલા છે. એમાંના પાંચ લાખ શરણાર્થીઓ દિલ્હીમાં અને ત્રણ લાખ મુંબઈમાં છે જેઓ પોતે આવ્યા હોય કે એમનાં માતાપિતા ૧૯૭૧માં બાંગ્લાદેશ છોડીને આવ્યા હોય.

શરણાર્થીઓને એમની પોતાની સમસ્યાઓ હોવાની. આ શરણાર્થીઓને પોતાના દેશમાં સમાવનારા નાગરિકોને અને સરકારોને એમને કારણે નવી સમસ્યાઓનો સામનો કરવો પડવાનો. આપણે ગુજરાતીઓ લકી છીએ કે આવી કોઈ સંઘર્ષગાથામાંથી પસાર થવાનો વખત આપણને નથી આવ્યો. હા, ૧૯૭૧ પછી વર્ષો સુધી પોસ્ટના પરબીડિયા પર પાંચ પૈસાની રેફ્યુજી રિલીફ સ્ટેમ્પ લગાડતા એટલું યાદ છે.

સૌરભ શાહ

Monday, September 21, 2015

ખેડૂતને ખેડૂત ક્યારે કહેવો, વિદ્યાર્થીને વિદ્યાર્થી ક્યારે કહેવો


નૅશનલ ક્રાઈમ રેકૉર્ડ્સ બ્યુરોના આંકડા પ્રમાણે ૨૦૧૨ની સાલમાં ૧૩,૫૭૪ ખેડૂતે આત્મહત્યા કરી, ૨૦૧૩ની સાલમાં ૧૧,૭૭૨ અને ૨૦૧૪ની સાલમાં ૫,૬૫૦ ખેડૂતોએ આત્મહત્યા કરી.

આ આંકડા ઉછાળીને કહેવામાં આવે છે કે જુઓ, ભારતમાં ખેડૂતોની હાલત કેટલી દયાજનક છે - હજારો ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે, સરકાર ખેડૂતો માટે કંઈ કરતી જ નથી. આવું કહેવામાં પોલિટિશ્યનો (કોઈ પણ પક્ષના) હોવાના અને મીડિયા પણ આ આંકડાઓના આધારે સરકારને ઝૂડવામાં બાકી નહીં રાખે. આ બધું જોઈ-સાંભળીને કે વાંચીને આપણે પણ માનતા થઈ જઈએ કે વાત તો સાચી છે, સરકાર ખેડૂતો માટે કંઈ કરતી નથી.

સ્કૂલ કે કૉલેજમાં ભણતો કોઈ છોકરો કે યુવાન પ્રેમમાં નાસીપાસ થઈને આત્મહત્યા કરે છે ત્યારે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે એવું ન કહેવાય, નિષ્ફળ પ્રેમીએ આત્મહત્યા કરી છે એવું કહેવાય. બૅન્કમાં કામ કરતો કોઈ માણસ આવેશમાં આવીને એની બેવફા પત્ની તથા પત્નીના પ્રેમીની હત્યા કરે છે ત્યારે એક બૅન્ક કર્મચારીએ આ ખૂન કર્યાં છે એવું ન કહેવાય, એક ભગ્નહૃદયી કે ઈર્ષ્યાળુ પતિએ હત્યાઓ કરી છે એવું કહેવાય. કારણ કે આ આત્મહત્યા સાથે વિદ્યાર્થીના અભ્યાસને કોઈ લેવાદેવા નથી કે આ હત્યાઓ સાથે ખૂનીની બૅન્કની જવાબદારીઓ સાથે કોઈ લેવાદેવા નથી. વિદ્યાર્થી કે બૅન્ક કર્મચારી તરીકેની ઓળખાણ આપણને મિસલીડ કરતી હોય છે.

ગયા અઠવાડિયે રૂપર્ટ મર્ડોકની માલિકીના ટીવી નેટવર્ક સ્ટાર ઇન્ડિયા તરફથી ભારતના તમામ મેજર મીડિયા હાઉસને એમના ઍડવોકેટ તરફથી નોટિસ મળી. નોટિસમાં ચેતવણી આપવામાં આવી કે તમે લોકો શીના મર્ડર કેસનું રિપોર્ટિંગ કરતી વખતે આરોપી ઈન્દ્રાણી મુખર્જીના પતિ પીટર મુખર્જીની ઓળખાણ સ્ટાર - ઇન્ડિયાના ભૂતપૂર્વ સી.ઈ.ઓ. તરીકે આપો છો તે ખોટું છે. પીટર મુખર્જી સ્ટાર-ઇન્ડિયાના ભૂતપૂર્વ સીઈઓ છે પણ આ મર્ડર કેસમાં જ્યારે જ્યારે પીટર મુખર્જીનો ઉલ્લેખ થાય છે ત્યારે એ સ્ટાર ઇન્ડિયાના સીઈઓ હતા એટલા માટે નથી થતો, તેઓ ઈન્દ્રાણી મુખર્જીના પતિ છે એટલે આ કેસ સાથે એમનો વાસ્તો છે. માટે કૃપા કરી આ મર્ડર કેસના સંદર્ભમાં સ્ટાર-ઇન્ડિયાનો નામોલ્લેખ બંધ કરો અન્યથા તમારા પર બદનક્ષીનો દાવો માંડીને આબરૂની નુકસાની માટે કેસ કરવામાં આવશે. નોટિસ મળતાં જ મીડિયાએ પીટર મુખર્જી સાથે એમની ભૂતપૂર્વ માલિક-કંપનીનો ઉલ્લેખ કરવાનું બંધ કરવું પડ્યું.

કોઈને બદનામ કરવા માટે મીડિયા જ નહીં આપણે સૌ - તું નહીં તો તારો બાપ એવો, તારો પાડોશી એવો, પાડોશીનો સાળો એવો-ની હદ સુધી નીચે ઊતરી જઈએ છીએ. ઈન્દ્રાણી મુખર્જીનો ભૂતકાળ કેવો છે, એનો સ્વભાવ કેવો છે કે એનું ચારિત્ર્ય કેવું છે એની સાથે શીનાની હત્યાને કોઈ લેવાદેવા નથી. ઈન્દ્રાણીએ શીનાની હત્યા કરી છે કે નહીં અને જો કરી હોય તો શું કામ કરી છે એનું જ માત્ર મહત્ત્વ છે. આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં પણ રાજેશ-નૂપુર તલવારનાં ચારિત્ર્ય પર કાદવ ઉછાળવામાં આવ્યો હતો. અહીં શીના મર્ડર કેસ વિશે ચર્ચા કરવા પધારેલા એક સિનિયર પત્રકારે એક પ્રતિષ્ઠિત ટીવી ચૅનલ પર કહી દીધું કે ઈન્દ્રાણીએ મને કહ્યું હતું કે નાનપણમાં એના સાવકા બાપે એને મોલેસ્ટ કરી હતી. આ વાત બીજે દિવસે એક છાપામાં આઠ કૉલમના બૅનર સાથે ઉછાળવામાં આવી. ઈન્દ્રાણી સાથે જો આવું થયું પણ હોય તો આ ખૂન કેસ સાથે એને શું લેવાદેવા? ઈન્દ્રાણી મર્ડરર હોય તો એને સજા થવી જ જોઈએ. કડકમાં કડક સજા થવી જોઈએ. પણ હજુ કેસનું ઈન્વેસ્ટિગેશન તો પૂરું થવા દો. કોર્ટમાં બેઉ પક્ષોની દલીલો શરૂ થઈને ફાઈનલ સ્ટેટમેન્ટ સુધી પહોંચવા દો.

સેક્સની બાબતમાં અત્યંત ચારિત્ર્યવાન વ્યક્તિ પણ ખૂન કે બીજા ગુના કરી શકે છે અને આ બાબતે કૅરેક્ટરલેસ ગણાતી વ્યક્તિ ખૂન કે બીજા કોઈ પણ ગુના કરવાથી જોજનો દૂર રહી શકે છે. સ્ટાર - ઇન્ડિયાએ પોતાના નામને પીટર મુખર્જી સાથે ન સાંકળવા માટે વકીલની નોટિસો ફટકારવી પડી તે આ જ કારણસર. પીટર મુખર્જીએ સ્ટાર-ઇન્ડિયાના સીઈઓની ફરજ બજાવતી વખતે કે ફરજના એક ભાગરૂપે કોઈ ગેરકાનૂની કૃત્ય કર્યું હોય તો એમની કંપનીનું નામ એમની સાથે જોડાય તે સ્વાભાવિક છે. પણ જે મામલામાં આ કંપનીનો કોઈ હાથ જ નથી એમાં કેવી રીતે તમે કંપનીને બદનામ કરી શકો. આમ છતાં પોલીસ અને મીડિયા ઊંધું નાખીને પ્રતિષ્ઠિત નામોને ગુનાહિત કૃત્યમાં સંડોવતી હોય છે. દાખલા તરીકે ડોમિનોઝમાં કામ કરતો કોઈ ડિલિવરીમૅન બળાત્કારના કેસમાં ફસાય તો મીડિયા ચિલ્લાશે - ડોમિનોઝનો કર્મચારી રેપ કેસમાં પકડાયો. અરે ભલા માણસ, આમાં ડોમિનોઝ પિક્ચરમાં જ ક્યાં છે. નાહકના શું કામ તમે કોઈ પ્રતિષ્ઠિત બ્રાન્ડની આબરૂ ખરડો છો? પણ પોલીસ - પ્રેસને આવું કરવું ગમતું હોય છે. કોઈ એક નૉનડિસ્ક્રિપ્ટ આદમીના ન્યૂઝમાં લોકોને રસ નહીં પડે. ડોમિનોઝનો કર્મચારી - એવું કહીશું તો બધાના આંખકાન સરવાં થઈ જશે.

ખેડૂતોની આત્મહત્યાની બાબતમાં આવું જ બની રહ્યું છે. નૅશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોએ આપેલા આંકડા ઉપર જઈને ફરી વાંચો. અને હવે આગળ વાંચો. આ ખેડૂતોમાંથી ખેતીનાં કારણોસર આત્મહત્યા કરનારાઓની સંખ્યા આ મુજબ છે: ૨૦૧૨માં ૧,૦૬૬, ૨૦૧૩માં ૮૯૦ અને ૨૦૧૪માં ૧,૪૦૦. ફરક ધ્યાનમાં આવ્યો તમારા? આ જે તફાવત છે આંકડાનો તે શું કામ છે? એ તફાવતવાળા આંકડામાંના ખેડૂતોએ ખેતીના કામકાજને લગતાં કારણોસર આત્મહત્યા નથી કરી, પરંતુ પ્રેમમાં નિષ્ફળ જવાને કારણે, નપુંસકતાને કારણે, માંદગીને કારણે, ડ્રગ એડિક્શનને કારણે, ફૅમિલી પ્રૉબ્લમ્સને કારણે, પ્રોપર્ટી ડિસ્પ્યુટને કારણે તેમ જ બીજાં ‘બિનખેતી વિષયક’ કારણે આત્મહત્યા કરી હતી એવું પોલીસ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. ૨૦૧૨માં ભારતમાં ૨૫૮૦૭૫ લોકોએ આત્મહત્યા કરી. આમાંથી ખેતીનાં કારણોસર આત્મહત્યા કરનારા ખેડૂતો કેટલા? તમે જોયું કે ૧,૦૬૬.

જેમ વિદ્યાર્થી ‘બિન-અભ્યાસ’ કારણોસર આત્મહત્યા કરે એવું જ. કોઈ આર્કિટેક્ટ, ડૉક્ટર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કે પત્રકાર પ્રેમમાં નિષ્ફળ જવાને કારણે, નપુંસકતાને કારણે, માંદગીને કારણે કે વગેરે વગેરે કારણોસર આત્મહત્યા કરે (જેને એના પ્રોફેશન સાથે કોઈ લેવાદેવા નથી) એમ જેનો વ્યવસાય ખેતીનો હોય તે પણ ખેતી સાથે કોઈ લેવાદેવા ન હોય એવાં કારણોસર આત્મહત્યા કરી શકે છે.

મુંબઈમાં ૨૦૧૪ની સાલમાં રોજના સરાસરી ૯ લોકો લોકલ ટ્રેનના અકસ્માતમાં મર્યા. ભારતભરમાં માર્ગ અકસ્માતમાં ૨૦૧૩માં કુલ ૧,૩૭,૦૦૦ લોકો મર્યા. કોઈ કહેતું નથી કે દર વર્ષે રોડ એક્સિડન્ટમાં ચાર હજાર ડૉક્ટરો મરી જાય છે (આ આંકડો કલ્પિત છે) એટલે ડૉક્ટરોની સુરક્ષા માટે સરકારે કંઈક કરવું જોઈએ કે પછી મુંબઈમાં દરરોજ ત્રણ પટાવાળા (આ આંકડો પણ કલ્પિત છે) મરી જાય છે એટલે એમના માટે ગવર્ન્મેન્ટ કોઈ સ્કીમ બનાવવી જોઈએ.

ખેડૂતોની આત્મહત્યાના આંકડા બઢાવીચઢાવીને કહેવામાં આવે છે, કારણ કે આમાં પોલિટિશ્યનોનો વેસ્ટેડ ઈન્ટરેસ્ટ છે. વોટબૅન્ક તો છે જ મોટી, ઉપરાંત કરોડોના રાહત પૅકેજ એનાઉન્સ કરાવીને પોતાને પણ એમાંથી લાડવો મળી જાય એવું કરવું છે. અને મીડિયાનું તો શું છે? વર મરો, ક્ધયા મરો, મીડિયાનું તરભાણું ભરો.
સૌરભ શાહ