એક સ્નેહીના ઘરે જવાનું થયું. ઔપચારીક વાતો પછી મેં પુછ્યું, ‘બા ઘરમાં નથી દેખાતાં. બહાર ગયાં છે?’
બા સાથે મારે પણ આત્મીયતા હતી. સ્નેહી કહે, ‘બા ઘરમાં જ છે. પાસેની રુમમાં પુજા કરે છે.’
મને આશ્ચર્ય થયું ! એ કંઈ પુજા–પ્રાર્થના કરવાનો સમય નહોતો. હું જાણું છું કે પુજા–પ્રાર્થના તો કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે કરી શકાય; પરન્તુ સામાન્ય રીતે વ્યવહારમાં આપણે દરેક કામકાજ માટેનું સ્વતન્ત્ર ટાઈમટેબલ બનાવેલું હોય છે. પુજા–પ્રાર્થના માટે અનુકુળ સમય ફાળવેલો હોય છે. હું મારું આશ્ચર્ય વ્યક્ત કરું એ પહેલાં જ સ્નેહી બોલ્યા, ‘તમારે બાને પુજા કરતાં જોવાં છે ?’
‘ના–ના, તેમને ડીસ્ટર્બ નથી કરવાં…’
તેઓ ડીસ્ટર્બ નહીં થાય; ઉલટાનું તેમને ગમશે. સાચી વાત એ છે કે તમે બાને પુજા કરતાં જોશો તો તમને ગમશે. બાની પુજાવીધી જોવા જેવી છે.’
‘તો ચાલો, જઈએ અને જોઈએ.’ હું બોલ્યો.
અમે બન્ને ઉઠીને બાજુની રુમ તરફ ગયા. હળવેથી દરવાજો ખોલ્યો. એક પલંગ પર બા બેઠાં હતાં. સામે તેમનો પૌત્ર (એટલે કે પેલા સ્નેહીનો દીકરો) બેઠેલો હતો. બા તેને કંઈક વાર્તા સંભળાવતા હતાં. અમારી તરફ તેમનું ધ્યાન નહોતું. વાર્તાનાં પાત્રોમાં સીંહ, ગરીબ બ્રાહ્મણ અને રાજા હતાં.
સ્નેહી મને હાથ પકડીને રુમમાં ખેંચી ગયા. બાએ અમારી તરફ જોઈ સ્મીત કરતા કહ્યું, ‘બહુ દીવસે અમારી યાદ આવી ?’
બાના શબ્દોમાં લાગણી હતી. એમાં મીઠો ઠપકો હતો. કોઈ વડીલ આપણને વાત્સલ્યથી ઠપકો આપે એ આપણું સદ્ભાગ્ય કહેવાય.
મેં બે હાથ જોડીને નમસ્કાર કર્યાં. સ્મીત દ્વારા સૉરી પણ કહેવાઈ ગયું. પછી તરત મુળ વાત કરતાં મેં કહ્યું, ‘મને તો એમ કહેવામાં આવ્યું હતું કે તમે અન્દર પુજા કરો છો અને તમારી પુજાવીધી જોવાલાયક હોય છે એટલે હું અન્દર આવ્યો; પરન્તુ તમે તો…’
‘હું પુજા જ કરી રહી છું ને !’ કહીને બોલ્યાં, ‘જો આ મારો પૌત્ર એટલે મારો બાળકનૈયો. પેલા કનૈયાને માખણ બહુ ભાવતુ હતું અને મારા આ કનૈયાને વાર્તાઓ બહુ ભાવે છે. તે દરરોજ મારી પાસે આવીને – ‘દાદી, એક સ્ટોરી કહો ને !’ – એમ કહેતો હતો. મેં તેને સ્ટોરી કહેવાનું કામ પુજા કરવા જેટલા મહત્ત્વથી સ્વીકારી લીધું છે !’
‘તમારી વાત જાણીને મને ખરેખર ખુબ આનન્દ થયો છે. તમે પુજાની નવી જ વ્યાખ્યા આજે મને આપી…!’
બા બે ઘડી મૌન સેવી રહ્યાં અને પછી બોલ્યાં, ‘આમ આપણે દરરોજ બાળકનૈયાનાં ભજનો લલકારીએ, તેને ફળ–નૈવેદ્ય ધરીએ, નાનકડા નટવરને લાડ લડાવીએ અને ઘરના જ બાળકનૈયાની ઉપેક્ષા કરીએ; એવું કેમ ચાલે ? તસવીર કે મુર્તીના કૃષ્ણની પુજા કરીએ અને જીવતા જાગતા કૃષ્ણ માટે આપણને ફુરસદ જ ન મળે તો એવી પુજા શ્રીકૃષ્ણને પણ કેમ ગમે ? અમારી ઉમ્મરના ઘણા લોકો મને કટાક્ષમાં કહે છે કે તમને લોહીના સમ્બન્ધનું વળગણ છે. દીકરાઓને લાડ કરવાં એ તો જુઠી માયા છે. હું તેમને કહું છું કે જુઠી માયા હોય તો ભલે રહી, લોહીના સમ્બન્ધનું વળગણ હોય તો છો રહ્યું; મારે કંઈ ત્યાગી–વીતરાગી નથી બનવું. હું એક સ્ત્રી છું, મા છું, દાદી છું. મને જે રોલ ભજવવા મળ્યો, એને મારે પુરી નીષ્ઠાથી ન્યાય આપવો છે. જો આ બધું માયા અને વળગણો જ હોય તોયે એ કંઈ મેં તો નથી જ બનાવ્યાં ને ? જેણે આ જગત બનાવ્યું છે એણે જ તો સમ્બન્ધોનો આ સરસ ખેલ રચ્યો છે. જશોદા તો પારકી મા હતી; તોય કૃષ્ણને વહાલ કરતી, જ્યારે હું તો મારા પૌત્રની સગી દાદી છું. એને વહાલ કરવાનો મને હક છે, એને વહાલ કરવું એ મારો ધર્મ છે. એનાથી ચડીયાતી કોઈ પુજા હોય એવું મને નથી લાગતું.’
અન્ધશ્રદ્ધાની ભેળસેળવાળી પ્રદુષીત ભક્તી કરતાં શ્રદ્ધાના મીશ્રણવાળું વળગણ કેવું પવીત્ર, આનન્દમય અને શાતાદાયક હોય એનો સાક્ષાત્કાર કરીને સાચે જ મેં ધન્યતા અનુભવી.
ભક્તીના નામે આપણે ખોટા માર્ગે ભટકી તો નથી ગયા ને ? ધર્મના બહાને આપણે આપણાં જીવનને અને આપણાં કર્તવ્યોને અન્યાય તો નથી કરી રહ્યાં ને ? ત્યાગ–વૈરાગ્યની શુષ્ક વાતો સાંભળીને આપણે એવા ભરમાઈ જઈએ છીએ કે હાથમાં રહેલાં રોકડાં સુખોને ફેંકી દઈને, પરલોકનાં સુખોરુપી કોણીએ વળગેલો ગૉળ ચાટવાના ઉધામા કરવામાં જીવતરને વેડફતાં રહીએ છીએ. જગતના સમ્બન્ધો મીથ્યા નથી. બ્રહ્મ સત્ય હોય તો જગત પણ સત્ય છે. મોહ અને માયાથી દુર ભાગવાની જરુર નથી. સમ્બન્ધોની જરુર પણ પડે છે, સન્તાનોની જરુર પણ પડે છે, સમ્પત્તીની જરુર પણ પડે છે. ભક્તીના ભ્રમમાં આ બધી હકીકતોને મીથ્યા અને નાશવન્ત સમજીને આધા જવાની જરુર નથી. આખું જગત મીથ્યા હોય તો આપણે સ્વયં પણ ક્યાં શાશ્વત છીએ ? નીર્ભેળ અને નીર્દોષ સુખ માણવું એમાં કોઈ પાપ નથી.
આપણે ઘરે પહોંચવામાં મોડા પડીએ ત્યારે આપણી પ્રતીક્ષામાં ભુખી રહેતી પત્નીનો પ્રેમ કઈ રીતે મીથ્યા કહેવાય ? પત્ની બીમાર પડે ત્યારે ઑફીસેથી રજા લઈને પતી તેની સેવામાં ખડો રહેતો હોય તો એ સેવાને શા માટે મીથ્યા કહીને વગોવવી ? આપણને જોઈને ખીલખીલાટ સ્માઈલથી આપણને તાજગીની દીક્ષા આપતા બાળક સાથેનું એટૅચમેન્ટ વળી શાનું મીથ્યા ? રીટાયર્ડ થયા પછી આપણી પાસે કશી પ્રવૃત્તી ન હોય, ત્યારેઆપણાં પૌત્ર–પૌત્રીઓ અને અન્ય સ્નેહી–સ્વજનો સાથે જે હળવાશ અનુભવીએ છીએ એને મીથ્યા કહેવાનું સાહસ કઈ રીતે થઈ શકે ? ફેમીલી–લાઈફને એન્જોયફુલ બનાવતાં આવડે તો મોક્ષ અને વૈંકુઠ પછી જખ મારે છે. સૌથી મોટી ભ્રાન્તી જો કોઈ હોય તો એ ત્યાગ છે. સંસાર જો ભવસાગર હોય તો આપણું જીવન એક નૌકા છે. નૌકાનો ત્યાગ કરીએ તો ભવસાગરમાં ડુબી મરીએ. ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે જો ઉભા રહેવાનું હોય તો હૅન્ડલ બરાબર પકડવું જ પડે. હૅન્ડલનો ત્યાગ કરીએ તો ભુંડી દશા થાય.
આપણું ઘર એ જ આપણું મન્દીર. પ્રસન્નતા આપણો પરમેશ્વર. કર્તવ્યો આપણી તપસ્યા. વહાલ અને વાત્સલ્ય એટલે પ્રસાદ. પરસ્પર પ્રત્યે વીશ્વાસ એ આપણો સમ્પ્રદાય. સાચી અને તટસ્થ સમજણ એ જ આપણો મોક્ષ. સંસારને ફેંકી દેવાથી સ્વર્ગ કે વૈકુંઠ મળી જતાં હોત તો આ પૃથ્વીલોક ક્યારનોય ખાલી થઈ ગયો હોત !
બાળકને ઉંઘાડવા માટે માતા જે હાલરડું ગાય છે, એનાથી અધીક પવીત્ર બીજું કોઈ ભજન હોઈ શકે ખરું ? વૃદ્ધ પેરન્ટ્સ કે દાદા–દાદીનો હાથ પકડીને તેમને ગાર્ડનમાં ફરવા લઈ જવાં કે ઘરમાં ટૉઈલેટ–બાથરુમ સુધી લઈ જવાં, એ શું અડસઠ તીર્થની યાત્રા નથી ?
ઘરમાં આવેલી પુત્રવધુના હાથની રસોઈ જમતી વખતે તેની પ્રશંસા માટે જે શબ્દો ઉચ્ચારાય એ શબ્દોનું મહત્વ મન્ત્ર કરતાં ઓછું હોઈ જ કેમ શકે ?
તમને આ સત્ય સમજાય છે ને ? કે પછી ગરબડીયા ગામનો બાવો તમને ઉઠાં ભણાવે એમાં જ રસ છે ?
–રોહીત શાહ