Tuesday, September 22, 2015

ગૉસિપખોર કોણ છે: સ્ત્રી કે પુરુષ


વગોવાતી હોય છે સ્ત્રીઓ પણ મારા હિસાબે પુરુષો વધારે કૂથલીખોર અને ચુગલીખોર હોય છે. ચાર મળે ચોટલા ને ભાંગી નાખે ઓટલા જેવી કહેવત પુરુષોએ જ પોતાની આ એબ ઢાંકવા સ્ત્રીઓની વગોવણી માટે બનાવી છે. પુરુષો માટે કેમ એવી કોઈ કહેવત નથી. પુરુષોનું ગૉસિપિંગ એમની તથાકથિત દુનિયાદારીની વાતો પાછળ ઢંકાઈ જતું હોય છે. સલમાન ખાનથી લઈને અનિલ અંબાણી સુધીની હસ્તીઓ વિશે અને બિલ્ડિંગના સેક્રેટરીથી લઈને ઑફિસના બૉસ વિશેની કૂથલીઓનું જન્મસ્થાન પુરુષોનું દિમાગ હોય છે.

મેલ ગૉસિપનું સૌથી મોટું કારણ પુરુષોમાં ઊંડે સુધી ધરબાઈ ચૂકેલી રહી ગયા હોવાની લાગણી છે. તમે લઈ ગયા અને અમે રહી ગયા. ઑફિસમાં કોઈને પ્રમોશન મળ્યું તો એ તો બૉસનો ચમચો છે. પોતાની ઉંમરના કોઈ પુરુષને સુંદર સ્ત્રી સાથે કૉફી શૉપમાં જોયો તો એ કૅરેક્ટરલૅસ છે. કોઈએ નવી ગાડી વસાવી તો એ બે નંબરિયો છે. કોઈનું જાહેર સન્માન થયું તો એ પીઆરશિપમાં પાવરધો છે.

દારૂનું પીઠું અર્થાત્ બાર કે પબમાં પુરુષમિત્રો એકલા બેઠા હોય તો પોતપોતાની પરિચિત હોય એવી (પણ ‘હાથમાં ન આવી’ હોય એવી) સ્ત્રીઓની ગૉસિપ ચાલવાની અને આમાંથી બે મિત્રો બહાર સિગારેટ પીવા ગયા તો પાંચ મિનિટ માટે એમના વિશે પણ ગૉસિપ કરી લેવાની.

લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે શૅરબજાર વિશે ગૉસિપ કરવાની. દિગ્વિજય સિંહ અને અરુણ જેટલી પોતાના સગ્ગા સાળા હોય એમ એમના વિશેની મનઘડંત અંગત વાતો વિશે ગૉસિપ કરવાની.

ઑફિસમાં લંચ ટાઈમે કલીગ્સની કૂથલી ન કરીએ ત્યાં સુધી ભૂખ્યા જ છીએ એવું લાગે. ધંધાદારીઓએ રાઈ્વલ પાર્ટીની આર્થિક હાલત કેટલી ડામાડોળ છે અને માર્કેટમાંથી ઉઠાવેલા પૈસા એ કેવી રીતે ચૂકતે કરશે એની ચિંતા કરવાના બહાને એના વિશે અફવાઓ ફેલાવવાની. રામાયણના ધોબીને આદર્શ ગણનારાઓનો તોટો નથી પુરુષોની દુનિયામાં.

કોઈની સિદ્ધિ જોઈને પોતાનો ગરાસ લૂંટાઈ જતો હોવાનું માનીને કૂથલી કરનારા પુરુષોનો વર્ગ સૌથી બહોળો છે. બીજાને આગળ નીકળી જતાં જોઈને પુરુષોને સૌથી મોટો અફસોસ એ થતો હોય છે કે પેલો દોડવા માંડ્યો ત્યારે હું ત્યાં કેમ નહોતો, એના પગમાં આંટી મારીને એને પાડવા માટે! આ અફસોસ પછી એના માટેની કૂથલીનું સ્વરૂપ ધારણ કરે અને જોતજોતામાં વાત ફેલાઈ જાય કે ભઈ, આ તો અલ્લા મહેરબાન તો ગધા પહેલવાન જેવી વાત છે.

પુરુષોને પોતાની હાર સ્વીકારતાં નથી આવડતું, મેલ ઈગો વચ્ચે આવતો હોય છે. કોઈને સફળ થતાં જોઈને એને લાગતું હોય છે કે, પોતે નિષ્ફળ ગયો છે અને એમાંય પોતાના જ ઘરમાં પત્નીના મોઢે એ કોઈ પુરુષની સિદ્ધિનાં વખાણ સાંભળે ત્યારે તો નિષ્ફળતાની લાગણી બેવડાઈ જતી હોય છે. પછી એ બમણા જોરથી પેલા સિદ્ધિ મેળવનારની બદબોઈ કરવા માંડશે. પત્નીને કહેશે, ‘તને ખબર નથી કે એની પર્સનલ લાઈફમાં કેટલા લોચા છે.’ બે વખાણ શું કર્યા પત્ની જાણે પેલા જોડે ભાગી જવાની હોય એવી ઈન્સિક્યોરિટી પુરુષમાં પ્રગટે છે. કૂથલી કરવાની પુરુષોની રીત પણ નિરાળી હોવાની. પોતે બાયસ્ડ નથી એવું જતાવવા ફ્રેન્ડ સર્કલમાં સૌથી પહેલાં તો એ પેલાનાં બે વખાણ કરશે: ‘આમ તો એ બહુ ભલો માણસ છે, જેમ ઑફ અ પર્સન...’ પછી તર્જની-અંગૂઠાનું સર્કલ બનાવી છેલ્લી ત્રણ આંગળીઓ ઊંચી કરશે અને ધીમે રહીને ઉમેરશે, ‘પણ સાંભળ્યું છે કે એને એના સગા દીકરા સાથે ઊભ્ભે નથી બનતું... સાચું ખોટું તો ભગવાન જાણે પણ પાર્કમાં કોઈ કહેતું હતું...’

સવારના મૉર્નિંગ વૉક માટે પાર્કમાં જઈને સેહત બનાવવાને બદલે ગામગપાટા મારનારા પુરુષોને તમે તરત ઓળખી જઈ શકો છો. એકાદ રાઉન્ડ માર્યા પછી દરિયાકિનારે લટાર મારવા નીકળ્યા હોય એવી સ્લો મોશન ગતિમાં પગ ચાલતા હોય અને જુબાન નૉનસ્ટૉપ ૬૦ની સ્પીડે ચાલતી હોય એ આવા પુરુષોની ઓળખાણ છે. હકીકત એ હોય કે પાર્કમાં કોઈએ આવું ન કહ્યું હોય પણ પોતાના જ ઘરમાં પોતાને દીકરા સાથે અણબનાવ હોય એટલે બીજાના માટે આવી ગૉસિપ શરૂ કરી દેવી, જેથી ભવિષ્યમાં પોતાના ઘરના ઝઘડા બહાર છતા થાય ત્યારે કહેવા ચાલે કે ઘેર ઘેર માટીના ચૂલા.

પુરુષની ઉંમર વધતી જાય એમ ગૉસિપ ફેલાવવાનું અને ગૉસિપ માણવાનું એમને વધારે ને વધારે મન થતું જાય. ટીન એજર્સ તો બિચારા પોતાનામાં જ એટલા રચ્યાપચ્યા હોવાના કે બીજાઓ વિશે શું ગૉસિપ કરે. પરણ્યા પછી આ કૉટેજ ઈન્ડસ્ટ્રીનો રિયલ પાયો નખાય અને રિટાયર્મેન્ટ પછી તો એ ગૃહોદ્યોગમાંથી મલ્ટિનેશનલ કંપની બની જાય. લો યાદ આવ્યું. પુરુષો માટે પણ આવી કહેવત તો છે જ: નવરો બેઠો નખ્ખોદ વાળે.

સૌરભ શાહ
---
પ્રથમ પુરુષ એકવચન
ઉતર નશા જબ ઉસકા જાતા,
આતી હૈ સંધ્યા બાલા,
બડી પુરાની, બડી નશીલી
નિત્ય ઢલા જાતી હાલા;

જીવન કે સંતાપ શોક સબ,
ઈસકો પીકર મિટ જાતે;
સુરા-સુપ્ત હોતે મદ-લોભી
જાગૃત રહતી મધુશાલા.

- હરિવંશરાય બચ્ચન

બૅવતન થયા પછી


પૂર્વમાં ઈરાક, ઉત્તરમાં ટર્કી, દક્ષિણમાં જૉર્ડન અને ઈઝરાયલથી ઘેરાયેલા સીરિયાની પશ્ર્ચિમે ભૂમધ્ય સમુદ્ર છે. લગભગ પોણા બે કરોડની વસ્તી. આ આરબ દેશ પર એક જમાનામાં ફ્રેન્ચ લોકોએ શાસન કર્યું. એમના ગયા પછી અનેક લશ્કરી બળવા થયા. ચાળીસ વર્ષ સુધી અસાદ બાપ-દીકરાએ હકૂમત ચલાવી. ૨૦૧૧માં હાફિઝ અલ-અસાદના દીકરા બશર અલ-અસાદ સામે બળવો થયો. ત્યારથી આજ સુધી આ ટચૂકડા દેશમાં એવી ક્રાઈસિસ સર્જાઈ છે જેને કારણે અત્યારે યુરોપિય દેશો ભયભીત બની ગયા છે - સીરિયાથી આવતાં શરણાર્થીઓનાં ધાડાં એમના દેશોમાં ઘૂસી જાય છે એની ફિકરમાં.

પ્રેસિડેન્ટ અસાદના જુલમી શાસનની સામે બળવો થયા પછી સીરિયામાં સિવિલ વૉરની સ્થિતિ સર્જાઈ. સંયુક્ત રાષ્ટ્રસંઘના અંદાજ મુજબ ૨૦૧૧ અને ૨૦૧૨નાં બે વર્ષ દરમ્યાન આ ગૃહયુદ્ધમાં ૬૦,૦૦૦ લોકોનાં મોત થયાં. ટૅન્ક અને કેમિકલ વેપન્સ ધરાવતાં રોકેટ્સ જેવાં આધુનિક શસ્ત્રો સરકારે પોતાની જ પ્રજા સામે વાપર્યાં. લશ્કરમાંથી બળવો કરીને છૂટા થયેલા સૈનિકો શસ્ત્રો સાથે વિરોધ પક્ષમાં જોડાયા. અને સ્થાનિક મુસ્લિમ તથા લઘુમતી કુર્દ પ્રજા આપસમાં લડવા લાગી. કોણ કોનો વિરોધ કરે છે, શું કામ લડે છે એ જાણવું ઘડીભર મુશ્કેલ બની ગયું. દેશની અડધા કરતાં વધારે ભાગની વસ્તી આ સિવિલ વૉરમાં સંડોવાઈ. અન્ન પુરવઠો ખોરવાઈ ગયો. આરોગ્ય સેવા કથળી ગઈ. મોટાભાગના સીરિયન શરણાર્થીઓએ જાન બચાવીને પડોશના જૉર્ડનમાં આશરો લીધો. જૉર્ડન માટે આ પરિસ્થિતિ દુકાળમાં અધિક માસ જેવી થઈ. કેટલાક ટર્કી તરફ ભાગ્યા. અને વધારે ડેસ્પરેટ, અને આશા રાખીને બેઠેલા જે સીરિયનો હતા તેઓ ભૂમધ્ય સમુદ્ર ઓળંગવાનું જોખમ ખેડીને ગ્રીસ ભણી જવા લાગ્યા. અત્યારે, યુનોના અંદાજ પ્રમાણે ૪૦ લાખથી વધુ સીરિયનો દેશ છોડીને આજુબાજુના તેમ જ દૂરના દેશોમાં શરણું શોધી રહ્યા છે.

સૌથી વધુ સીરિયન શરણાર્થીઓને ટર્કીએ સ્વીકાર્યા છે - લગભગ વીસ લાખ. એ પછી લૅબનોન (દસ લાખ), જૉર્ડન (છ લાખ), ઈરાક (અઢી લાખ) અને ઈજિપ્ત (સવા લાખ). ૯૮ હજાર સીરિયન શરણાર્થીઓ જર્મનીમાં આશરો લેવા માગે છે. સ્વિડનમાં ૬૪,૦૦૦, ફ્રાન્સમાં ૬,૭૦૦, બ્રિટનમાં ૭,૦૦૦, ડેન્માર્કમાં ૧૧,૩૦૦, હંગેરીમાં ૧૮,૮૦૦ શરણાર્થીઓ, સીરિયન નાગરિકત્વ ધરાવતા, આવવા માગે છે. આ ઉપરાંત નેધરલેન્ડ, ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝરલૅન્ડ અને ગ્રીસ તો ખરું જ - જે સીરિયન શરણાર્થીઓને સ્વીકારશે. કેનેડાએ ૧૦,૦૦૦ શરણાર્થીઓ સ્વીકારવાની જાહેરાત કરી છે. આ બધા આંકડામાં જે શરણાર્થીઓ આવી ચૂકયા છે તેમ જ જેમને હવે પછીનાં વર્ષોમાં પ્રવેશ મળશે તે બધાનું ટોટલ આવી જાય. ઑસ્ટ્રેલિયાએ ૧૨,૦૦૦ને લેવાની વાત કરી છે. અને પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ ગઈ કાલે જ જાહેરાત કરી કે અમેરિકા આગામી વર્ષોમાં તબક્કાવાર કુલ ૧૦,૦૦૦ સીરિયન્સને શરણું આપશે જેની સામે અમેરિકામાં જબરજસ્ત વિરોધ થયો છે.

મઝાની વાત એ છે કે બહેરિન, કુવૈત અને સાઉદી અરેબિયાએ એક પણ સીરિયન શરણાર્થીને આશરો આપ્યો નથી. આ દેશોનું કહેવું છે કે સીરિયાથી ભાગીને આવતા આ (મોટાભાગના) મુસ્લિમોને અમારા દેશમાં પ્રવેશ જોઈતો હશે તો એમણે બીજાઓની જેમ રેગ્યુલર વિઝા માટે ઍપ્લાય કરવું પડે. બાકી માનવતાના ધોરણની વાત કરતા હો તો એ લોકોની મદદ માટે અમે યુનોને મિલિયન્સ ઓફ ડૉલર્સ ડોનેટ કર્યા જ છે. યુરોપિય દેશોએ બીજા વિશ્ર્વયુદ્ધ પછી યુનો સાથે જે સંધિ કરી છે એના આધારે એમણે આ શરણાર્થીઓ સ્વીકારવા જ પડે, અમારા પર આવું કોઈ બંધન નથી એવું અખાતના આ દેશોનું કહેવું છે. સાઉદી અરેબિયાએ ‘ઉદારતા’ દેખાડતાં કહ્યું છે કે જર્મનીને અમે ૨૦૦ મસ્જિદ બાંધી આપવા તૈયાર છીએ જ્યાં આ સીરિયન શરણાર્થીઓ નમાઝ પઢી શકે!

બીજા વિશ્ર્વયુદ્ધ પછી, આખા યુરોપમાં લાખો લોકો પોતાના દેશથી વિખૂટા પડી ગયા અને એમની સમસ્યાનો નીવેડો લાવવાની જરૂર જણાઈ ત્યારે, ૧૯૫૧માં રેફ્યુજી ક્ધવેન્શનમાં યુરોપના દેશોએ એક સંધિ પર સહીઓ કરી. યુરોપના કોઈપણ દેશમાં ત્યાંના નાગરિક પર પોતાની જ સરકાર દ્વારા જોખમ તોળાતું હોય તો એને આશરો અપાશે - મરવા માટે પાછો ધકેલી દેવાશે નહીં - એ બાબત પર સર્વસંમતિ સધાઈ. ૧૯૬૭માં આ સંધિમાં સુધારો થયો અને યુરોપને બદલે વિશ્ર્વના કોઈપણ દેશમાં - એવી વાત ઉમેરાઈ.

છેલ્લા દાયકાઓમાં આ સંધિ પર વિશ્ર્વના ૧૪૨ દેશો સહી આપી ચૂક્યા છે. સાઉદી અરેબિયા, કુવૈત, બહેરિન, કતાર, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતે (યુએઈ) આ સંધિ પર સહી નથી કરી. જોકે યુએઈ-એ દિલદારી દેખાડીને અઢી લાખ સીરિયન શરણાર્થીઓ સ્વીકાર્યા છે.

સીરિયન નાગરિકો સિવિલ વૉરથી થાકીને તેમ જ આઈએસઆઈએસ (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક ઍન્ડ અલ-શામ)ના આતંકવાદથી બચવા પોતાનો દેશ છોડીને ભાગી રહ્યા છે ત્યારે સાઉદી અરેબિયા સહિતના ગલ્ફના દેશોને અને યુરોપના દેશોને ચિંતા છે કે આ શરણાર્થીઓમાં કયાંક આતંકવાદીઓ અમારા દેશમાં ઘૂસી ન જાય. પોતે આતંકવાદી ન હોય પણ બીજા આતંકવાદીઓને સપોર્ટ કરે, એમના માટે લોકલ સિસ્ટમ ઊભી કરવામાં મદદ કરે એવું પણ બને. આ દેશોનો ભય સાચો છે. કારણ કે યુનોની સંધિ મુજબ તમારે આ ઑફિશ્યલ શરણાર્થીઓને આટલા હક્ક આપવા પડે: ૧. દેશમાં ગેરકાયદે ઘૂસી જવા બદલ આ શરણાર્થીઓ પર કાયદેસર પગલાં ન લઈ શકાય. ૨. ઘર મેળવવાનો એમને હક્ક છે. ૩. કામ કરવાનો હક્ક છે. ૪. શિક્ષણ પામવાનો અને સરકારી મદદ મેળવવાનો હક્ક છે. ૫. અદાલતનું શરણું લેવાનો હક્ક છે. ૬. અને સરકારી ઓળખપત્ર તેમ જ પ્રવાસ માટેના દસ્તાવેજો (અથાત્ પાસપોર્ટ વગેરે) મેળવવાનો પણ હક્ક છે.

બરાક ઓબામાની ૧૦,૦૦૦ રેફ્યુજીઝ સ્વીકારવાની જાહેરાત સામે એટલા માટે જ વિરોધ થયો. લોકો કહેવા લાગ્યા કે બોસ્ટનમાં મૅરેથોન દોડ વખતે થયેલા બૉમ્બધડાકા ભૂલી ગયા?

૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાનને છૂટું પાડીને ભારતે બાંગ્લાદેશની રચના કરવામાં ભાગ તો લીધો પણ એ સમયે ભારતમાં આવેલા બાંગ્લાદેશી શરણાર્થીઓમાંના આજે પણ ત્રિપુરા, ઓરિસ્સા વગેરેમાં ઠેર ઠેર પથરાયેલા છે. એમાંના પાંચ લાખ શરણાર્થીઓ દિલ્હીમાં અને ત્રણ લાખ મુંબઈમાં છે જેઓ પોતે આવ્યા હોય કે એમનાં માતાપિતા ૧૯૭૧માં બાંગ્લાદેશ છોડીને આવ્યા હોય.

શરણાર્થીઓને એમની પોતાની સમસ્યાઓ હોવાની. આ શરણાર્થીઓને પોતાના દેશમાં સમાવનારા નાગરિકોને અને સરકારોને એમને કારણે નવી સમસ્યાઓનો સામનો કરવો પડવાનો. આપણે ગુજરાતીઓ લકી છીએ કે આવી કોઈ સંઘર્ષગાથામાંથી પસાર થવાનો વખત આપણને નથી આવ્યો. હા, ૧૯૭૧ પછી વર્ષો સુધી પોસ્ટના પરબીડિયા પર પાંચ પૈસાની રેફ્યુજી રિલીફ સ્ટેમ્પ લગાડતા એટલું યાદ છે.

સૌરભ શાહ

Monday, September 21, 2015

ખેડૂતને ખેડૂત ક્યારે કહેવો, વિદ્યાર્થીને વિદ્યાર્થી ક્યારે કહેવો


નૅશનલ ક્રાઈમ રેકૉર્ડ્સ બ્યુરોના આંકડા પ્રમાણે ૨૦૧૨ની સાલમાં ૧૩,૫૭૪ ખેડૂતે આત્મહત્યા કરી, ૨૦૧૩ની સાલમાં ૧૧,૭૭૨ અને ૨૦૧૪ની સાલમાં ૫,૬૫૦ ખેડૂતોએ આત્મહત્યા કરી.

આ આંકડા ઉછાળીને કહેવામાં આવે છે કે જુઓ, ભારતમાં ખેડૂતોની હાલત કેટલી દયાજનક છે - હજારો ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે, સરકાર ખેડૂતો માટે કંઈ કરતી જ નથી. આવું કહેવામાં પોલિટિશ્યનો (કોઈ પણ પક્ષના) હોવાના અને મીડિયા પણ આ આંકડાઓના આધારે સરકારને ઝૂડવામાં બાકી નહીં રાખે. આ બધું જોઈ-સાંભળીને કે વાંચીને આપણે પણ માનતા થઈ જઈએ કે વાત તો સાચી છે, સરકાર ખેડૂતો માટે કંઈ કરતી નથી.

સ્કૂલ કે કૉલેજમાં ભણતો કોઈ છોકરો કે યુવાન પ્રેમમાં નાસીપાસ થઈને આત્મહત્યા કરે છે ત્યારે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે એવું ન કહેવાય, નિષ્ફળ પ્રેમીએ આત્મહત્યા કરી છે એવું કહેવાય. બૅન્કમાં કામ કરતો કોઈ માણસ આવેશમાં આવીને એની બેવફા પત્ની તથા પત્નીના પ્રેમીની હત્યા કરે છે ત્યારે એક બૅન્ક કર્મચારીએ આ ખૂન કર્યાં છે એવું ન કહેવાય, એક ભગ્નહૃદયી કે ઈર્ષ્યાળુ પતિએ હત્યાઓ કરી છે એવું કહેવાય. કારણ કે આ આત્મહત્યા સાથે વિદ્યાર્થીના અભ્યાસને કોઈ લેવાદેવા નથી કે આ હત્યાઓ સાથે ખૂનીની બૅન્કની જવાબદારીઓ સાથે કોઈ લેવાદેવા નથી. વિદ્યાર્થી કે બૅન્ક કર્મચારી તરીકેની ઓળખાણ આપણને મિસલીડ કરતી હોય છે.

ગયા અઠવાડિયે રૂપર્ટ મર્ડોકની માલિકીના ટીવી નેટવર્ક સ્ટાર ઇન્ડિયા તરફથી ભારતના તમામ મેજર મીડિયા હાઉસને એમના ઍડવોકેટ તરફથી નોટિસ મળી. નોટિસમાં ચેતવણી આપવામાં આવી કે તમે લોકો શીના મર્ડર કેસનું રિપોર્ટિંગ કરતી વખતે આરોપી ઈન્દ્રાણી મુખર્જીના પતિ પીટર મુખર્જીની ઓળખાણ સ્ટાર - ઇન્ડિયાના ભૂતપૂર્વ સી.ઈ.ઓ. તરીકે આપો છો તે ખોટું છે. પીટર મુખર્જી સ્ટાર-ઇન્ડિયાના ભૂતપૂર્વ સીઈઓ છે પણ આ મર્ડર કેસમાં જ્યારે જ્યારે પીટર મુખર્જીનો ઉલ્લેખ થાય છે ત્યારે એ સ્ટાર ઇન્ડિયાના સીઈઓ હતા એટલા માટે નથી થતો, તેઓ ઈન્દ્રાણી મુખર્જીના પતિ છે એટલે આ કેસ સાથે એમનો વાસ્તો છે. માટે કૃપા કરી આ મર્ડર કેસના સંદર્ભમાં સ્ટાર-ઇન્ડિયાનો નામોલ્લેખ બંધ કરો અન્યથા તમારા પર બદનક્ષીનો દાવો માંડીને આબરૂની નુકસાની માટે કેસ કરવામાં આવશે. નોટિસ મળતાં જ મીડિયાએ પીટર મુખર્જી સાથે એમની ભૂતપૂર્વ માલિક-કંપનીનો ઉલ્લેખ કરવાનું બંધ કરવું પડ્યું.

કોઈને બદનામ કરવા માટે મીડિયા જ નહીં આપણે સૌ - તું નહીં તો તારો બાપ એવો, તારો પાડોશી એવો, પાડોશીનો સાળો એવો-ની હદ સુધી નીચે ઊતરી જઈએ છીએ. ઈન્દ્રાણી મુખર્જીનો ભૂતકાળ કેવો છે, એનો સ્વભાવ કેવો છે કે એનું ચારિત્ર્ય કેવું છે એની સાથે શીનાની હત્યાને કોઈ લેવાદેવા નથી. ઈન્દ્રાણીએ શીનાની હત્યા કરી છે કે નહીં અને જો કરી હોય તો શું કામ કરી છે એનું જ માત્ર મહત્ત્વ છે. આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં પણ રાજેશ-નૂપુર તલવારનાં ચારિત્ર્ય પર કાદવ ઉછાળવામાં આવ્યો હતો. અહીં શીના મર્ડર કેસ વિશે ચર્ચા કરવા પધારેલા એક સિનિયર પત્રકારે એક પ્રતિષ્ઠિત ટીવી ચૅનલ પર કહી દીધું કે ઈન્દ્રાણીએ મને કહ્યું હતું કે નાનપણમાં એના સાવકા બાપે એને મોલેસ્ટ કરી હતી. આ વાત બીજે દિવસે એક છાપામાં આઠ કૉલમના બૅનર સાથે ઉછાળવામાં આવી. ઈન્દ્રાણી સાથે જો આવું થયું પણ હોય તો આ ખૂન કેસ સાથે એને શું લેવાદેવા? ઈન્દ્રાણી મર્ડરર હોય તો એને સજા થવી જ જોઈએ. કડકમાં કડક સજા થવી જોઈએ. પણ હજુ કેસનું ઈન્વેસ્ટિગેશન તો પૂરું થવા દો. કોર્ટમાં બેઉ પક્ષોની દલીલો શરૂ થઈને ફાઈનલ સ્ટેટમેન્ટ સુધી પહોંચવા દો.

સેક્સની બાબતમાં અત્યંત ચારિત્ર્યવાન વ્યક્તિ પણ ખૂન કે બીજા ગુના કરી શકે છે અને આ બાબતે કૅરેક્ટરલેસ ગણાતી વ્યક્તિ ખૂન કે બીજા કોઈ પણ ગુના કરવાથી જોજનો દૂર રહી શકે છે. સ્ટાર - ઇન્ડિયાએ પોતાના નામને પીટર મુખર્જી સાથે ન સાંકળવા માટે વકીલની નોટિસો ફટકારવી પડી તે આ જ કારણસર. પીટર મુખર્જીએ સ્ટાર-ઇન્ડિયાના સીઈઓની ફરજ બજાવતી વખતે કે ફરજના એક ભાગરૂપે કોઈ ગેરકાનૂની કૃત્ય કર્યું હોય તો એમની કંપનીનું નામ એમની સાથે જોડાય તે સ્વાભાવિક છે. પણ જે મામલામાં આ કંપનીનો કોઈ હાથ જ નથી એમાં કેવી રીતે તમે કંપનીને બદનામ કરી શકો. આમ છતાં પોલીસ અને મીડિયા ઊંધું નાખીને પ્રતિષ્ઠિત નામોને ગુનાહિત કૃત્યમાં સંડોવતી હોય છે. દાખલા તરીકે ડોમિનોઝમાં કામ કરતો કોઈ ડિલિવરીમૅન બળાત્કારના કેસમાં ફસાય તો મીડિયા ચિલ્લાશે - ડોમિનોઝનો કર્મચારી રેપ કેસમાં પકડાયો. અરે ભલા માણસ, આમાં ડોમિનોઝ પિક્ચરમાં જ ક્યાં છે. નાહકના શું કામ તમે કોઈ પ્રતિષ્ઠિત બ્રાન્ડની આબરૂ ખરડો છો? પણ પોલીસ - પ્રેસને આવું કરવું ગમતું હોય છે. કોઈ એક નૉનડિસ્ક્રિપ્ટ આદમીના ન્યૂઝમાં લોકોને રસ નહીં પડે. ડોમિનોઝનો કર્મચારી - એવું કહીશું તો બધાના આંખકાન સરવાં થઈ જશે.

ખેડૂતોની આત્મહત્યાની બાબતમાં આવું જ બની રહ્યું છે. નૅશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોએ આપેલા આંકડા ઉપર જઈને ફરી વાંચો. અને હવે આગળ વાંચો. આ ખેડૂતોમાંથી ખેતીનાં કારણોસર આત્મહત્યા કરનારાઓની સંખ્યા આ મુજબ છે: ૨૦૧૨માં ૧,૦૬૬, ૨૦૧૩માં ૮૯૦ અને ૨૦૧૪માં ૧,૪૦૦. ફરક ધ્યાનમાં આવ્યો તમારા? આ જે તફાવત છે આંકડાનો તે શું કામ છે? એ તફાવતવાળા આંકડામાંના ખેડૂતોએ ખેતીના કામકાજને લગતાં કારણોસર આત્મહત્યા નથી કરી, પરંતુ પ્રેમમાં નિષ્ફળ જવાને કારણે, નપુંસકતાને કારણે, માંદગીને કારણે, ડ્રગ એડિક્શનને કારણે, ફૅમિલી પ્રૉબ્લમ્સને કારણે, પ્રોપર્ટી ડિસ્પ્યુટને કારણે તેમ જ બીજાં ‘બિનખેતી વિષયક’ કારણે આત્મહત્યા કરી હતી એવું પોલીસ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. ૨૦૧૨માં ભારતમાં ૨૫૮૦૭૫ લોકોએ આત્મહત્યા કરી. આમાંથી ખેતીનાં કારણોસર આત્મહત્યા કરનારા ખેડૂતો કેટલા? તમે જોયું કે ૧,૦૬૬.

જેમ વિદ્યાર્થી ‘બિન-અભ્યાસ’ કારણોસર આત્મહત્યા કરે એવું જ. કોઈ આર્કિટેક્ટ, ડૉક્ટર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કે પત્રકાર પ્રેમમાં નિષ્ફળ જવાને કારણે, નપુંસકતાને કારણે, માંદગીને કારણે કે વગેરે વગેરે કારણોસર આત્મહત્યા કરે (જેને એના પ્રોફેશન સાથે કોઈ લેવાદેવા નથી) એમ જેનો વ્યવસાય ખેતીનો હોય તે પણ ખેતી સાથે કોઈ લેવાદેવા ન હોય એવાં કારણોસર આત્મહત્યા કરી શકે છે.

મુંબઈમાં ૨૦૧૪ની સાલમાં રોજના સરાસરી ૯ લોકો લોકલ ટ્રેનના અકસ્માતમાં મર્યા. ભારતભરમાં માર્ગ અકસ્માતમાં ૨૦૧૩માં કુલ ૧,૩૭,૦૦૦ લોકો મર્યા. કોઈ કહેતું નથી કે દર વર્ષે રોડ એક્સિડન્ટમાં ચાર હજાર ડૉક્ટરો મરી જાય છે (આ આંકડો કલ્પિત છે) એટલે ડૉક્ટરોની સુરક્ષા માટે સરકારે કંઈક કરવું જોઈએ કે પછી મુંબઈમાં દરરોજ ત્રણ પટાવાળા (આ આંકડો પણ કલ્પિત છે) મરી જાય છે એટલે એમના માટે ગવર્ન્મેન્ટ કોઈ સ્કીમ બનાવવી જોઈએ.

ખેડૂતોની આત્મહત્યાના આંકડા બઢાવીચઢાવીને કહેવામાં આવે છે, કારણ કે આમાં પોલિટિશ્યનોનો વેસ્ટેડ ઈન્ટરેસ્ટ છે. વોટબૅન્ક તો છે જ મોટી, ઉપરાંત કરોડોના રાહત પૅકેજ એનાઉન્સ કરાવીને પોતાને પણ એમાંથી લાડવો મળી જાય એવું કરવું છે. અને મીડિયાનું તો શું છે? વર મરો, ક્ધયા મરો, મીડિયાનું તરભાણું ભરો.
સૌરભ શાહ