‘નીલી છતરી વાલે’ ઝી ટીવી પર આવતી લોકપ્રીય સીરીઅલ છે. જેમાં થપ્પડવાલા બાબાનો એક એપીસોડ આવી ગયો. પુજ્ય બાબા લોકોને થપ્પડ મારીને આશીર્વાદ આપતા બતાવાયા છે. એપીસોડને અન્તે બાબા ઢોંગીબાબા સાબીત થાય છે. લોકો બાબાને ભગવાન બનાવવા માટે કેટલી હદે જઈ શકે છે એનું સુન્દર નીરુપણ આ સીરીઅલમાં કરવામાં આવ્યું છે. મધ્યમવર્ગના લોકોના પ્રશ્ન અને સમસ્યાઓ અને તેનું સમાધાન લઈને આવતી આ સીરીઅલ ઘણી લોકપ્રીય થઈ છે.
ક્યાંક સમર્પીત થઈ જવું, ક્યાંક મારી જાતનું સમર્પણ કરવું છે. કો’કના થઈ જવું છે, મારું બધું જ અર્પણ કરી દેવું છે; એવી તીવ્ર ભાવના કોઈ અજાણી વ્યક્તી માટે મનમાં પેદા થાય ત્યારે એવા નબળા મનના લોકોને એક ઢોંગી બાવો મળી રહે છે.
ભારત દેશની પ્રજા બાબા અને બાપુના પ્રભાવથી અભીભુત થયેલી પ્રજા છે. કહેવાતા બાબાઓ પર આંધળો વીશ્વાસ મુકવા માટે વીશ્વભરમાં આપણે પ્રખ્યાત છીએ. ધર્મના નામે ભોળા લોકોને લુંટતા બાબા અને બાપુઓને ભારતમાં ડાકુ કહેવાનો રીવાજ નથી. ઉલટાનું ભારતની ધર્માન્ધ પ્રજા બાપુ–બાવાઓને પોતાનું ધન, મન અને તન પણ આપી દે છે. ‘દુનીયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીયે !’ બાપુ – બાબાઓ આ કહેવતને બરાબર ચરીતાર્થ કરે છે.
આશ્વર્ય તો ત્યારે થાય છે કે એક બાબાથી છેતરાયા પછી પણ લોકો ધરાતા નથી ! અન્ય નવા બાપુ શોધી કાઢે છે અથવા નવા બાપુને તૈયાર કરી સમાજ સમક્ષ મુકી દે છે ! પુનઃ એ જ કર્મકાંડ કે જેનાથી પ્રજા ફરી પાછી છેતરાવા માટે તૈયાર હોય છે. જે દેશમાં શ્રી કૃષ્ણ જેવા મહાપુરુષે એક વાસ્તવીક અને કલ્યાણકારી વીચારધારા પ્રજા સમક્ષ મુકી, તે દેશમાં ભારતીય પ્રજાને કહેવાતા ઢોંગી બાપુઓના હાથે છેતરાવાની શી મજા પડતી હશે !! એ તો કૃષ્ણ જાણે ! કૃષ્ણે તો સીધું એક જ વાક્યમાં કહ્યું છે કે : ‘તારો ઉદ્ધાર તારે તારી જાતે જ કરવાનો છે. અન્ય કોઈ તારો ઉદ્ધાર કરવાનો નથી.’ ખુબ સ્પષ્ટ છે કે તને તરસ લાગી છે, તો પાણી તારે જાતે જ પીવું પડશે. અન્ય કોઈ વ્યક્તી પાણી પીશે ને તારી તરસ છીપાશે એવું બનવાનું નથી.
જો પીઠ ઉપર ખંજવાળ ઉપડી હોય તો તેની તીવ્રતા કેટલી છે ને ચોક્કસ કઈ જગ્યા પર ખંજવાળ ઉપડી છે ને કેટલો સમય ખંજવાળવું પડશે, એ તો જેને ખંજવાળ ઉપડી છે એ જ વ્યક્તી નક્કી કરી શકે. અન્ય પાસે ખંજવાળવાથી ખંજ ને પરીતોષ મળતો નથી. સ્વયં ખંજવાળવાથી જ તૃપ્તી મળે, અન્યના ખંજવાળવાથી આવો પુર્ણાનન્દ ક્યાં ?
કોઈ બાબા કે બાપુ મારો ઉદ્ધાર કરશે એ બાબતથી દુર થવાનો સમય પાકી ગયો છે. ભારતદેશ અને તેમાં વસવાટ કરતા ભોળા દેશવાસીઓ, ઢોંગી બાવાઓ અને ઢોંગી બાપુઓને, આ ઢોંગીઓ પોતાની પાપલીલા મોકળા મને કરી શકે, તે માટે પુરતી મોકળાશ કરી આપતા હોય છે. કોર્પોરેટ ભાષામાં કહીએ તો બાવાઓ અને બાપુઓ પોતાની દુકાનનો ‘માલ’(તેય કાચો અને સડેલો) વેચવા અને તેનો પ્રચાર–પ્રસાર કરવા માટેનું ગ્લોબલ માર્કેટ, ભારત દેશથી ઉત્તમ બીજું એકેય નથી.
મને તો એ જ સમજાતું નથી કે પત્નીનું દુઃખ પતી દુર કરી શકે કે બાબા દુર કરી શકે ? બાબાના આશ્રમે પત્નીને જતાં ન રોકી શકનાર લાચાર પતીઓ, અન્તે બાબાની પાપલીલાનો ભોગ બને છે તેના અસંખ્ય દાખલા આ દેશમાં મોજુદ છે.
માનવીની શ્રદ્ધા જ્યારે લોજીક (તર્ક)ની સીમા ઓળંગી જાય છે ત્યારે એ ખતરનાક પુરવાર થાય છે. આવા લોકો માત્ર પોતાના માટે નહીં; આખા સમાજ માટે જોખમી બની જાય છે.
આ બાબતે બે પ્રસંગોનો ઉલ્લેખ અનીવાર્ય બને છે, છેલ્લા એક માસમાં બનેલી ઘટનાઓ :
ઘટનાક્રમ 01 :
પંજાબના જાલંધર શહેરનાં દીવ્યજ્યોતી જાગૃતી સંસ્થાના સ્થાપક આશુતોષ મહારાજ, 29 જાન્યુઆરી 2014ના દીને અવસાન પામ્યા. ડૉક્ટરોએ એમને ક્લીનીકલી મૃત જાહેર કર્યા હોવા છતાં; એમના શીષ્યોએ એમના નશ્વર દેહની અન્ત્યેષ્ટી કરી નથી. એમણે મહારાજનું શબ ડીપફ્રીઝરમાં છેલ્લા અગીયાર મહીનાથી સાચવી રાખ્યું છે. શા માટે ? આશુતોષ મહારાજના અન્ધશ્રદ્ધાળુ અને બેવકુફ ભક્તોનું માનવું છે એ બાબા મર્યા નથી; પણ ઉંડી સમાધીમાં છે. તેથી તેમની અન્ત્યેષ્ટી ન કરાય. હરીયાણા હાઈકોર્ટે 16 ડીસેમ્બર અન્ત્યેષ્ટી માટેની મુદત આપી હતી.
ઘટનાક્રમ 02 :
હરીયાણામાં બાબા રામપાલની ધરપકડ કરવામાં આવી. રામપાલને એક ખુન કેસ સમ્બન્ધમાં અદાલતે પાંચમી નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો હતો. પોતાની ધરપકડ ટાળવા રામપાલે પહેલી નવેમ્બરે પોતાના અભણ ભક્તોનું મોટું સમ્મેલન બોલાવી પોલીસ સામે ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. પોલીસ સાથેની ઝપાઝપીમાં છ લાશો પડી હતી.
મને તો એ વાત પણ સમજાતી નથી કે બાવા બન્યા જ છો તો સમ્પત્તી ભેગી કરવાની શી જરુર ? સંસારનો ત્યાગ કરીને તો બાવા બન્યા છો ! ભૌતીક સુખ–સમૃદ્ધીનો ત્યાગ ન કરી શકે તે તમામ બાવાઓ ઢોંગી..! હજારો કરોડોની અસ્ક્યામતો બાવાઓના નામે હોય તે એક દુર્ઘટના જ છે !
વોટ્સએપ પર એક મેસેજ ફરતો થયો છે એ મુજબ જુદી જુદી નોકરી અને વ્યવસાય કરનારા લોકોની દસ વર્ષની આવક મુકવામાં આવી છે. ઉ.દા.; તરીકે શીક્ષક : 25 લાખ, એન્જીનીયર : 45 લાખ, ડોક્ટર : 1 કરોડ, કલેક્ટર : 1 થી દોઢ કરોડ, બાબા રામદેવ : 6 હજાર કરોડ, બાબા રામપાલ : 5 હજાર કરોડ વગેરે વગેરે.. અને પછી પ્રશ્ન પુછ્યો છે કે હે યુવાન, જીવનમાં કેરીયર બનાવવા માટે કયો માર્ગ પસંદ કરીશ ? જો કે રમુજ ખાતર આ મેસેજ ફરતો થયો હશે એમ માની લઈએ તો પણ; આ મેસેજ સાવ સાચો નથી; તો સાવ ખોટો પણ નથી. ‘આ બૈલ મુઝે માર’ એક બાબાનું કૌભાંડ બહાર આવ્યું કે તરત જ બીજા બાબાની શોધ ચાલુ કરીને ફરીથી છેતરાઈ જવા અને ઉલ્લુ બનવા આપણે હોંશભેર અને ઉત્સાહભેર તૈયાર !
કહેવાતા બાબાઓએ ધર્મના નામે લોકોને લુંટી પોતાની ‘દુકાન’ ચલાવવાનું જ કામ કર્યું છે. દુકાનમાં કેટલાક ગ્રાહકોને વાળી લેવામાં આવશે અને પછી ધીરે ધીરે તે ‘ગ્રાહક–સમુહ’માં પરીવર્તીત થવા લાગશે. માઉથ પબ્લીસીટીનો લાભ તેમને મળશે. આ બાબાઓને પ્રચાર–પ્રસાર માટે કેટલાક મુરખાઓ પણ મળી રહે છે. જેઓ સારું (સાચું નહીં) બોલી શક્તા હોય, લોકોને પોતાની સ્પીચથી આકર્ષી શક્તા હોય તેવા શખ્સો પ્રચાર–પ્રસારનું કાર્ય ખુબ હોંશથી કરતા હોય છે. બાબાના વખાણ કરે, બાબાને ગમતી વસ્તુઓનું વર્ણન કરે, બાબા રીઝે તેના નુસખાં બતાવે, બાબા આપણું કલ્યાણ કઈ રીતે કરશે તેની વાત મુકે. બાબા સીવાય આ જગતમાં આપણું કોઈ નથી એ વાત મનમાં ઠસાવે, બાબા એક માત્ર સત્ય; બાકી બધું મીથ્યા એ વાત દૃઢ કરાવે અને છેવટે બધી સમ્પત્તી બાબાના ચરણોમાં મુકવાથી મોક્ષ મળે તેવી, મુદ્દાની વાત કરે. ‘બકરી ડબ્બે પુરાઈ’ગઈની પ્રતીતી થતાં બીજાં ‘બકરાં’ની શોધ માટે તખ્તો ગોઠવાય અને પછી ? ફીર વહી રફ્તાર..
ધર્મ – ‘ધ’ એટલે ધતીંગ અને ‘મ’ એટલે મરજી મુજબનું.. ધર્મ વીશેની આ તેમની ગુપ્ત વ્યાખ્યા હોય ! ભારત દેશમાં ગામદીઠ એક ઢોંગી બાવો મળી રહે ! પરન્તુ જ્યાં સુધી તેમની પાપલીલા પરથી પડદો ઉઠતો નથી ત્યાં સુધી એ બાવા પુજનીય બની રહે છે. જેવો પર્દાફાશ થયો કે બસ..! મીડીયાથી માંડીને તમામ સમાજસેવીઓ અને મહીલા–હકોનું રક્ષણ કરતી સામાજીક સંસ્થાઓ આ મુદ્દાને લઈને રસ્તા પર આવી જતી હોય છે.
મહીલાને ડાકણ વળગી હોય, તાવ આવ્યો હોય, સાપ કરડ્યો હોય, લગ્ન ન થતાં હોય, સન્તાન સુખ ન હોય, નોકરી મળતી ન હોય, ઘરમાં કંકાસ–કજીયા થતા હોય, પાડોશી જોડે બનતું ન હોય, પતી–પત્નીમાં તકરાર હોય, કર્જમાંથી મુક્તી મેળવવી હોય, લવ પ્રોબ્લેમ–બીઝનસ પ્રોબ્લેમ્સ હોય, પ્રોપર્ટી મૅટર વગેરેનું માત્ર ત્રણ દીવસમાં સોલ્યુશન ! આ પ્રકારના પ્રશ્નોવાળો એક વર્ગ છે અને તેનાય ‘સ્પેશ્યલ બાબા’ છે. આ તમામ પ્રશ્નો માટે બાબા પાસે દોડી જવાનું અને પ્રશ્નોનું સમાધાન મેળવવાનું !
હવે નવયુવાન પેઢી તૈયાર થઈ છે તે આ બધી બાબતોનું ખંડન કરે છે. નવયુવાન વીચારે છે, સમજે છે અને પછી નીર્ણય લે છે. વોટ્સએપ અને ગુગલના યુગમાં કોઈ બાબા મારી મુશ્કેલી દુર કરી શકે નહીં, તેની ખાતરી યુવાનને છે. મારો ઉદ્ધાર મારે જાતે જ કરવાનો છે તેનો અહેસાસ યુવાનોને થયો છે.
જાણીતા ચીંતક અને લેખક ગુણવંત શાહ ‘સબકો સન્મતી દે ભગવાન’માં લખે છે કે – ‘કોઈ વ્યક્તી થોડીક લોકપ્રીયતા પ્રાપ્ત કરે એટલે તેની છબીની પુજા કરવા માટે હીન્દુઓ ઘેલા બની જાય છે. આવી છબી ઘરમાં પુજાસ્થળે મુકવી એ મુર્ખતા છે અને એની પુજા કરવી એ તો મહામુર્ખતા છે. સાધુ, સંન્યાસીઓને, કથાકારોને અને ઉપદેશકોને પગચમ્પી કરીને, ચરણસ્પર્શ કરીને, હીંચકે ઝુલાવીને, સ્નાન કરાવીને, અન્ધશ્રદ્ધા ઠાલવીને, સેવા–પુજા–અર્ચના કરીને, ઘેલાં કાઢીને, એકાન્તમાં મળીને, આંખો દ્વારા અહોભાવનું આક્રમણ કરીને અને વ્યભીચારની બધી જ તકો પુરી પાડીને તેને ભોંયભેગા કરવામાં હીન્દુ સ્ત્રીઓ દુનીયાની બધી સ્ત્રીઓ કરતાં મોખરે છે.’
શીક્ષણ સંસ્થાઓએ જાગૃત થઈને આગળ આવવાની જરુર છે. અભ્યાસક્રમમાં ઢોંગી બાવાઓનો ઉલ્લેખ અનીવાર્ય બન્યો છે. બાળપણથી જ બાળકને સંસ્કારવામાં આવે કે ‘કોઈ બાવા કે બાપુ આપણું કલ્યાણ કરી શકે નહીં.’ આપણે જાતે જ તે માટે તૈયાર થવાનું છે એવી પાકી સમજ શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની તાતી જરુર છે. એ વાત જુદી છે કે કેટલાક સત્યનીષ્ઠ અને ધર્મપ્રીય સન્તો આપણા સમાજમાં અપવાદરુપ; પણ છે ખરા.
ઢોંગી બાવાઓને ભગવાન ગણતા અને પુજતા લોકો માટે છેતરાવા સીવાય અન્ય કોઈ વીકલ્પ નથી. પત્ની, બાળકો, યુવાન દીકરીઓ અને તમામ ધન–સમ્પત્તી બાવાના ચરણે મુકનારા ‘આધુનીક યુધીષ્ઠીર’નો તોટો નથી.
બાવાઓના શરણે જવાની આપણી નબળાઈ દુર કરવા માટે ચાલો, ફરી એક બાબાની રાહ જોઈએ !
– ડૉ. સન્તોષ દેવકર